નદીમાં પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટે કહ્યું બધો પોતાનું વિચાર્યું એટલે આજે આવી સ્થિતિ

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શાહીબાગ વિસ્તારની ૨૭ જેટલી સોસાયટીઓની માહિતી મેળવી છે, કે જેઓ ગેરકાયદેસર રીતે દૂષિત પાણી સીધું નદીમાં ઠાલવતી હતી. આ સોસાયટીઓને નોટિસ આપવામાં આવી છે. ત્યારબાદ પણ જો તેઓ પાણી છોડવાનું બંધ ન કરે તો તેમને સિલ કરવાની કામગીરી પણ કરવામાં આવશે. કોર્ટ મિત્ર દ્વારા ધ્યાન દોરવામાં આવેલ ૩ આઉટલેટ પૈકી ૨ને બંધ કરી દેવામાં આવ્યા છે.

સુનાવણી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નદીને પ્રદૂષિત થતી રોકવા માટેના આયોજન અંગે પણ જાણકારી આપી હતી. જેમાં કોર્પોરેશન કહ્યું છે કે, ‘નમામી ગંગેની તર્જ પર સાબરમતી નદીમાં બાયો કલ્ચર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંત નવા એસટીપી પ્લાન્ટ પણ લગાવવા આવશે’. ૪૪૪ ડ્રેનેજ કનેક્શન કાપ્યા, અને ૩૪૨૮ યુનિટ્‌સમાંથી આવતું પ્રદૂષિત એફલ્યુએન્ટ રોકવામાં આવ્યું છત કોર્ટ મિત્રે એ વાતનું પણ ધ્યાન દોર્યું છે કે, બંધ કરી દેવામાં આવેલા કેટલાક એકમો ફરીથી શરૂ થઈ ગયા છે. જેને લઈ કોર્ટે કહ્યું કે, ‘જીપીએસબી અને કોર્પોરેશન આ એકમો પર મોનિટરિંગ રાખે અને જરૂર પડે પોલીસ ફરિયાદ કરે’. અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિએશનએ ફરી કોર્ટ સમક્ષ રજુઆત કરી છે કે, ‘જેમની પાસે પોતાના ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, તેમને પાણી છોડવાની પરવાનગી આપવામાં આવે. ૬૦૦ જેટલા એકમો પૈકી ૩૦૦ જેટલા એકમો પાસે ઇટીપી પ્લાન્ટ છે, તેમને પરવાનગી આપવી જોઈએ. જે મામલે કોર્ટે જીપીએસબી ને વિગતો રજૂ કરવા કહ્યું છે.

સાબરમતી નદી પ્રદૂષણ મામલે ગુજરાત હાઇકોર્ટનું આકરું વલણ યથાવત છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ બંધ કરવામાં આવેલા એકમો ફરીથી શરૂ થતા કોર્ટે નારાજગી દર્શાવી છે. તેમની સામે પોલીસ ફરિયાદ કરવા કોર્ટે કહ્યું છે.

આ ઉપરાંત ગેરકાયદેસર રીતે નદીમાં પાણી છોડતા રહેણાંક ઇમારતોની વિગતો પણ કોર્ટ સમક્ષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને રજૂ કરી છે. આ મામલે કોર્ટે એ ટકોર કરી કે, અત્યાર સુધી બધાએ પોતાનું વિચાર્યું, એટલે જ આ સ્થિતિ ઉભી થઇ.