અમદાવાદના કેડિલાથી ઇસનપુરને જોડતો નવનિર્મિત ઘોડાસર સ્પ્લિટ ઓવરબ્રિજ ખુલ્લો મૂકાયો

અમદાવાદ: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં હવે ટ્રાફિકની સમસ્યામાં મોટો ઘટાડો થશે, વિસ્તારના લોકોને ટ્રાફિક અને હાલાકીનો સામનો નહી કરવો પડે કારણ કે, કેડિલાથી ઇસનપુરને જોડતો નવનિર્મિત ઘોડાસર ચાર રસ્તા પરના ઓવરબ્રિજને વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

અંદાજે રૂપિયા ૬૨ કરોડના ખર્ચે ઘોડાસર સ્પ્લિટ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. જે જાહેર જનતાના ઉપયોગ માટે ખુલ્લો મુકાતા વાહન ચાલકોને ઈંધણ અને સમય બંન્નેની બચત થશે. ઘોડાસર ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનવાના કારણે આશરે ૨.૫૦ લાખ જેટલા વાહન ચાલકોને ફાયદો થશે અને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે.

ઘોડાસર, નારોલ અને નરોડાના લોકો માટે રાહતની વાત છે કે, નાગરિકો માટે નવનિર્મિત ઘોડાસર સ્પ્લિટ ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો છે. કેડિલાથી ઇસનપુરને જોડતો નવનિર્મિત ઘોડાસર સ્પ્લિટ ઓવરબ્રિજ ખુલ્લો મૂકાતા પ્રજાએ ટ્રાફિકની સમસ્યાથી હાશકારો અનુભવ્યો છે. અત્રે જણાવીએ કે, લોડિંગ ટેસ્ટ બાદ સત્તાવાર રીતે ઓવરબ્રિજ પ્રજા માટે ખુલ્લો મૂકાયો છે. આચારસંહિતાના કારણે ઉદ્ઘાટન ન કરી પ્રજા માટે ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો છે.