રાજકોટમાં રોડ બનાવતા પાણીની લાઈન તુટતા લાખો લીટર પાણી વેડફાયું

રાજકોટ શહેરમાં અવારનવાર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થવાના દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે ફરી એક વખત રાજકોટના નવા રિંગરોડ પર રોડની ચાલુ કામગીરી દરમિયાન પાઇપલાઇનમાં ભંગાણ થવાનું સામે આવ્યું છે જેના પગલે ૧૦-૧૦ ફૂટ ઊંચા પાણીના ફુવારા થતા સતત ૩ કલાક સુધી પાણીનો વેડફાટ થયો હતો અને લાખો લીટર પાણીનો વેડફાટ થવા પામ્યો હતો. રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ ૨ એટલે કે નવા રિંગરોડ પર રિંગ રોડ બનાવવાની ચાલુ કામગીરી દરમિયાન જેસીબી મદદથી ખોદકામ થતું હોવાથી નીચે રહેલ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું જેના પગલે ૧૦-૧૦ ફૂટ ઊંચા પાણીના ફુવારા થયા હતા અને બાજુના ખેતર તેમજ રસ્તા પર લાખો લીટર પાણી વેડફાયુ હતું. જો કે આ સમયે રોડ બનાવતી એજન્સી દ્વારા મનપા તંત્રને જાણ કરવામાં આવી હતી અને આગળથી વાલ્વ બંધ કરવામાં આવ્યો હતો પરંતુ આ દરમિયાન ૩ કલાક સુધી પાઇપલાઇનમાં રહેલ લાખો લીટર પાણી વેડફાયું હતું અને ત્યારબાદ પાણી ખાલી થતા પાઇપલાઇન માં સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અવારનવાર આ રીતે રોડ રસ્તા તેમજ ઓવર અને અન્ડરબ્રિજ બનાવવાની કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થવાના કારણે પાણીના વેડફાટની ઘટના સામે આવી રહી છે.

એક તરફ મનપા દ્વારા રાજ્ય સરકાર પાસે કરગરીને નર્મદા નીરની માંગણી કરવામાં આવી છે તો બીજી તરફ રાજકોટમાં આજે ફરી લાખો લીટર પાણીનો વેડફાટ થયો હોવાનું સામે આવ્યું છે. શહેરના નવા રિંગ રોડ પર રોડ બનાવવાની કામગીરી દરમિયાન પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતા ૧૦-૧૦ ફૂટ ઉંચા પાણીના ફુવારા થયા હતા અને સતત ૩ કલાક સુધી લાખો લીટર પાણીનો વેડફાટ થયો હોવાનું સામે આવ્યું છે. જો કે મનપા દ્વારા વાલ્વ બંધ કરી ૩ કલાક બાદ રીપેરીંગ કામગીરી હાથ ધરી હતી.