રાજ્યના પર્યાવરણ વિભાગને એનજીટી નોટિસ ફટકારી

સુરત હજીરાની આર્સેલર મિત્તલ અને હજીરા ફ્રેટ કન્ટેનર સ્ટેશન કંપની દ્વારા સ્લેગ અને ફ્લાયએશ જેવા જોખમી ઔધોગિક કચરાનો સંગ્રહ કરાંતા પર્યાવરણને નુકસાન પહોંચતા નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે બન્ને કંપની અને જીપીસીબીને નોટિસ ફટકારી છે. એનજીટી નોટિસ ફટકારતા જીપીસીબીએ તપાસ કરી રિપોર્ટ સબમિટ કરી દીધો છે. આ તપાસ રિપોર્ટમાં કંપનીની ગંભીર ક્ષતિઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. આ કેસ સંદર્ભે આગામી ચોથી ફ્રેબ્રુઆરીના રોજ એનજીટીમાં વધુ સુનાવણી હાથ ધરાશે. હજીરામાં સર્વે નંબર ૪૩૪ પૈકી ૧-એ વાળી જમીન પર આર્સેલર મિત્તલ અને હજીરા ફ્રેટ કન્ટેનર સ્ટેશન કંપની દ્વારા મોટા પ્રમાણમાં જોખમી ઔધોગિક કચરાનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હતો.

હજીરા ફ્રેટ કન્ટેનર કંપનીએ ૨૫ હેક્ટર જંગલની જમીન પર કન્ટેનર યાર્ડ અને પોર્ટ બેકઅપ સુવિધાઓ માટે વન મંજૂરી લીધી હતી. પરંતુ આ જંગલ વિસ્તારમાં ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાનના નકશા પ્રમાણે સીઆરઝેડ-૧બી વિસ્તારમાં આવે છે. તેથી સીઆરઝેડનું ક્લિયરન્સ લેવાનું થાય છે. પરંતુ કંપનીએ સી.એફ,એસ. લીધું નથી. તેમજ આ વિસ્તારમાં જોખમી કચરો જેવો કે ચૂનો, સ્લેગ, કોરેક્સ પ્લાન્ટનો હેવી મેટલ, બેરિંગ વેસ્ટ સહિતનો ઝેરી કચરો ઠાવતા પર્યાવરણને નુકસાન થયું હતું. આ કચરો નાંખી નેશનલ હાઈવેની લગોલગ પુરાણ કરી દેવામાં આવ્યું હતું.

પર્યાવરણને નુકસાન પહોંચવા સાથે આસપાસના ગ્રામજનોના સ્વસ્થ્યને પણ અસર થતાં નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલમાં ફરિયાદ કરી દંડ ફટકારવા માંગણી કરાઈ હતી. પર્યાવરણને ગંભીર નુકસાન થતાં એનજીટીએ આર્સેલર મિત્તલ અને હજીરા ફ્રેટ કન્ટેનર સ્ટેશન કંપનીને નોટિસ ફટકારી હતી. આ સાથે જ જીપીસીબીને પણ નોટિસ ફટકારી હતી.

એનજીટીએ નોટિસ ફટકારતા જીપીસીબીએ તાત્કાલિક તપાસ હાથ ધરી ગ્રીન ટ્રિબ્યૂનલને રિપોર્ટ સબમિટ કરી દીધો હતો. હવે ચોથી ફેબ્રુઆરીના રોજ એનજીટીમાં વધુ સુનાવણી થશે. અગાઉ સ્થાનિકોએ આ મુદ્દે જીપીસીબીને ફરિયાદ કરી હોવા છતાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી એનજીટીમાં પુરાવા સહિતની ફરિયાદ કરવામાં આવતા જીપીસીબીની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.