વૃક્ષનું વાવેતર કરવાની કે જતન કરવાની તક મળે તેને કયારે જતી ન કરવી : જિલ્લા કલેકટર

જૂજ વ્યક્તિઓ છે કે જેને વૃક્ષોના લાભો વિશે ખ્યાલ ન હોય, તેમ છતાં વૃક્ષ વાવવામાં કે જતન કરવામાં હજુ પણ ઉત્સાહ જોવા મળતો નથી, તેવું આજરોજ ગાંધીનગરની પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં યોજાયેલ વૃક્ષા રોપણ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ જણાવ્યું હતું.

જિલ્લા કલેકટર હિતેષ કોયાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગરના સાસંદ અમિત શાહે પોતાના સંસદીય મત વિસ્તારને હરિયાળો સંસદીય મત વિસ્તાર બનાવવાનું અનોખું અને પ્રસંશનીય અભિયાન શરૂ કર્યું છે. સાસંદ સભ્ય ના આહવાનને જિલ્લા વહીવટી તંત્રએ સ્વીકાર કરીને સમગ્ર જિલ્લામાં તેમના ઉમદા ભાવને સાર્થક કરવા વૃક્ષારોપણ કાર્યક્રમનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે.

વૃક્ષોરોપણ કાર્યક્રમને જિલ્લામાં સફળ બનાવવા માટે જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શાળાઓમાં વૃક્ષારોપણ અભિયાનનો આરંભ પુન્દ્રાસણ ખાતેથી કરવામાં આવ્યો છે. કલેકટરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વૃક્ષ કે રોપાઓનું વાવેતર કરીને કામ પૂર્ણ થતું નથી, પણ તેનું જતન અને ઉછેર થાય તે ખૂબ જરૂરી છે. તો જ વૃક્ષારોપણ કરવા પાછળનો ઉમદા ભાવ સાર્થક થશે.

એસ્ટ્રોલ ફાઉન્ડેશન દ્વારા જે શાળાનો બાળક વાવેલા વૃક્ષનું જતન કરશે. તેમજ એક વર્ષ સુઘી વૃક્ષને સાચવીને તેને ઉછેરશે,  સાચવશે, તેનું સન્માન કરી ઇનામ આપવામાં આવશે, તે જાહેરાતને કલેકટરે આવકારી હતી. તેમણે શાળાના બાળકો અને ગ્રામજનોને તેમને આપવામાં આવેલા વૃક્ષોનું યોગ્ય રીતે ઉછેર કરવા માટે પણ નમ્ર અનુરોઘ કર્યો હતો. કલેકટરશ્રીએ વિઘાર્થીઓને જીવનમાં કયાંય પણ હોવ પરંતુ વૃક્ષનો વાવેતર કરવા કે જતન કરવાની તક મળે તેને કયારે જતી ન કરતા તેવું જણાવી તેના પાછળના ઉમદાભાવની દષ્ટાંત પૂર્વક વાત કરી હતી. આપણી ભૂમિને ફરથી લીલીછમ બનાવવાના પૂણ્ય કાર્યમાં સર્વે ગ્રામજનોને નૈતિક જવાબદારી સમજી જોડાવવા પણ તેમણે અપીલ કરી હતી.

પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગ્રામજનોને ૪૦૦ જેટલા રોપાઓ આપવામાં આવ્યા હતા. આ રોપવાનું વાવેતર બાદ રક્ષણ કરવા ગ્રામજનોને એસ્ટ્રો કંપની દ્વારા ટ્રી ગાર્ડ આપવામાં આવ્યા હતા. તેની સાથે શાળાના બાળકો દ્વારા શાળાના પ્રટાંગણમાં ૧૦૦ જેટલા વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાઘિકારી ભગવાનભાઇ પ્રજાપતિ, જિલ્લાના નાયબ વનસંરક્ષક ર્ડા. ચંદ્રેશકુમાર, પંન્દ્રાસણ ગામના સરપંચ ફુલાજી પશાજી ઠાકોર, તાલુકા સદસ્ય ભૂપતજી ઠાકોર, એસ્ટ્રોલ ફાઉન્ડેશનના કૃણાલ પટેલ, શાળાની એસ.એમ.સી.ના અધ્યક્ષ દેવજીભાઇ ઠાકોર, ટી.પી.ઓ. સુઘાબેન ઠાકોર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.