સુરતમાં મનપા કમિશનરે ૧૦ વર્ષ જૂના આધારકાર્ડને અપડેટ કરાવવા લોકોને અપીલ

આધારકાર્ડ સૌથી વધુ મહત્વનું ડોક્યુમેન્ટ બની ગયું છે. આધારકાર્ડ તમામ મહત્વના દસ્તાવેજો પૈકીનું એક છે. સરકારી યોજના હોય કે ખાનગી બેંકોનું કામ હોય તમામ સાથે આધાર કાર્ડ લિંક કરી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ૧૦ વર્ષ જૂના આધારકાર્ડને અપડેટ કરવા માટે સૂચન કર્યું છે. ત્યારે સુરત મનપા કમિશનર શાલીની અગ્રવાલે પોતાનો આધારકાર્ડ અપડેટ કરાવી લોકોને અપીલ કરી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા ૧૦ વર્ષ જુના આધારકાર્ડને અપડેટ કરી લેવા માટે સૂચન કર્યું છે. જેને કારણે દેશનો તમામ નાગરિકોએ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવી જરૂરી છે.

આધારકાર્ડ ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે જે અપડેટ હોવું ખૂબ જ જરૂરી છે. કારણ કે તે લેવડદેવડ હોય કે દસ્તાવેજી પુરાવાના કામ હોય તમામમાં મહત્વનું છે. મનપા દ્વારા આધારકાર્ડ વધુમાં વધુ અપડેટ સરળતાથી કરી શકાય તે દિશામાં વ્યવસ્થાઓ ઉભી કરવાનું શરૂ કરાયું છે. સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલે જણાવ્યું કે કેન્દ્ર સરકારની સૂચના મુજબ ૧૦ વર્ષ જૂના આધારકાર્ડને અપડેટ કરવા જરૂરી છે. મારો પોતાનો આધારકાર્ડ મેં આજે અહીંથી અપડેટ કરાવ્યું છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં આધારકાર્ડને અપડેટ કરવા માટેની કીટ વધુ સંખ્યામાં મૂકવામાં આવશે. જેથી કરીને લોકો સરળતાથી અપડેટ કરી શકે અને એમનો આ મહત્વનો દસ્તાવેજ સમયસર અપડેટ થઈ જાય. આધારકાર્ડને ઓનલાઈન પણ અપડેટ કરી શકાય છે. જે લોકો ઓનલાઈન કરી શકતા હોય તેમને ઝડપથી ઓનલાઇન આધારકાર્ડને અપડેટ કરાવી લેવા જોઈએ.