કડીમાં ખુલ્લી કેનાલમાં ગટરનું પાણી ઠલવાતાં સ્થાનિકો પરેશાન

કડીમાં કલોલ દરવાજા સામે આવેલ સીવીલ કોર્ટની પાછળથી જાસલપુર ચોકડી પરથી મોટા તળાવ તરફ જતી વરસાદી પાણીની ખુલ્લી કેનાલમાં ગટરનું ગંદુ પાણી ઠલવાતું હોવાથી આ કેનાલમાં બારેમાસ ગંદકીનું સામ્રાજ્ય સર્જાયેલું રહે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ખુલ્લી કેનાલમાં કેટલીક વાર ગાયો, બકરીઓ, કૂતરા તથા નાના બાળકો પડી જવાની સમસ્યા કાયમી રહી છે. કેનાલમાં સર્જાતી ગંદકીના કારણે દુર્ગંધથી સ્થાનિક લોકો પરેશાન થતા હોય છે, તેમજ મચ્છરોનો ઉપદ્રવ વધતા મચ્છરજન્ય રોગો ફેલાવાની દહેશત પણ રહીશોને સતાવે છે.

સ્થાનિકોમાં આ બાબતે રોષની લાગણી ફેલાઈ છે અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ ઉઠવા પામી છે. આ બાબતે કડી નગરપાલિકાના બાંધકામ શાખાના એન્જિનિયર મહેશ પરમારને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે આ ખુલ્લી કેનાલનું ટેન્ડર બે વખત બહાર પાડવામાં આવ્યું છે પણ કોઈ ભરતું ન હોવાથી તેનું કામ અટકેલું છે.કડીના ઉદ્યોગનગર નજીક વરસાદી પાણીની ખુલ્લી કેનાલમાં ગટરનું પાણી ઠલવાતુ હોઇ દુર્ગંધ અને ગંદકીના કારણે આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. તેમજ તેમણે આ સમસ્યા હલ કરવા માટે ઘણીવાર કડી નગરપાલિકામાં રજુઆત પણ કરી છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.