ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રની શરૂઆત

રાજયમાં પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતો ઉત્સુક છે, આ ખેતી ગૌ મૂત્ર-ગોબર થકી તૈયાર થયેલ ખાતરથી ઉત્પાદન કરવામાં આવે છે. આ ખાતર થકી જમીનની ફળદ્રપતા વધે છે તેમજ પાણીની બચત સાથે સાથે ખર્ચે પણ ઘટે છે. આ ઉત્પાદન થયેલા શાકભાજી- અનાજમાં દવાનો અંશ ન હોવાથી આ ઉત્પાદનનો ઉપયોગ કરનાર વ્યક્તિના સ્વાસ્થને પણ ફાયદો થાય છે.’રાજય સરકારના સહયોગથી ગાંધીનગરના સેકટર-૨૧ની શાકમાર્કેટમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનનાં વેચાણ કેન્દ્રની શરૂઆત થઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ‘ધ નેચરલ શોપ’નો શુભારંભ કરાયો હતો. ગાંધીનગર ખાતે ફાર્મર પ્રોડયુસર ઓર્ગોનાઇઝેશન– FPO અંતર્ગત આ વેચાણ કેન્દ્ર શરૂ થયું છે.

આ પ્રસંગે રાજયપાલે જણાવ્યું હતું કે, ‘પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા સરકાર દ્વારા દરેક જિલ્લા મથકે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ કેન્દ્રો સ્થાપવાનું આયોજન હાથ ધરાયું છે. જેના કારણે લોકોને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ થશે અને ખેડૂતોને પ્રારંભીક કૃષિ ઉત્પાદનોનું માર્કેટ મળશે.

રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી લોકો કેન્સર, ડાયાબિટિસ, હ્યદયરોગ જેવી અસાધ્ય બિમારીનો ભોગ બની રહ્યા છે, ત્યારે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ કેન્દ્રો દ્વારા લોકોને રાસાયણિક ખાતર અને જંતુનાશકોથી મુક્ત પ્રાકૃતિક ઉત્પાદનો મળશે’. કૃષિ રાજય મંત્રી રાધવજી પટેલે જણાવ્યું હતું કે, ‘પ્રાકૃતિક ખેતી થકી ઉત્પાદન થયેલ ખાધ ચીજવસ્તુઓના વેચાણ માટે ખેડૂતોને આ દુકાન આપવામાં આવી છે.