5 જૂન-વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે, રાજ્યના ૮ પવિત્ર યાત્રાધામ સ્થળો પર વૃક્ષારોપણ કરાશે

વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ‘વન કવચ’ થીમ પર કરાશેઃ કાર્યક્રમ દરમિયાન ૧૦,૦૦૦ વૃક્ષારોપણ કરાશે: ડ્રોન દ્વારા બીજની વાવણી સંદર્ભે પણ ખાસ કાર્યક્રમનું આયોજન – ગુજરાતના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલ

રાજ્યના ૧૧ જિલ્લાઓમાં MISTHI કાર્યક્રમ હેઠળ મેન્ગ્રેવનું વાવેતર કરાશે

રાજ્યના ૮ પવિત્ર યાત્રાધામ સ્થળો પર વૃક્ષારોપણ કરાશે

ઓખા, પોશિત્રા, કાળુભાર, જામનગર અને નવલખી ખાતે ડોલ્ફિન શો યોજાશે

ગાંધીનગર: પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ૫ જૂન-વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ‘વન કવચ’ થીમ પર અંબાજી ખાતે કરાશે. કાર્યક્રમ દરમિયાન ૧૦,૦૦૦ જેટલા વૃક્ષો વવાશે અને ડ્રોન દ્વારા બીજની વાવણી સંદર્ભે પણ ખાસ કાર્યક્રમ યોજશે.

મંત્રી પટેલે ઉમેર્યું કે, આ ઉજવણીમાં અમદાવાદ, આણંદ, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ભરૂચ, ભાવનગર, મોરબી, વલસાડ અને સુરત એમ ૧૧ જિલ્લાઓમાં MISTHI કાર્યક્રમ હેઠળ મેન્ગ્રેવનું વાવેતર કરવામાં આવશે.

આ ઉપરાંત ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, નડિયાદ, પંચમહાલ, બનાસકાંઠા, ભાવનગર અને સાબરકાંઠાના ૮ જેટલા પવિત્ર યાત્રાધામ સ્થળોએ ખાસ ઝુંબેશ હાથ ધરી દરેક સ્થળે વૃક્ષારોપણ કરવાનું આયોજન છે.

પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં ઉમેર્યું કે, અમરેલી, અરવલ્લી, ગાંધીનગર, છોટાઉદેપુર, ડાંગ, તાપી, દાહોદ, નર્મદા, પાટણ, પોરબંદર, મહિસાગર, મહેસાણા, રાજકોટ, વડોદરા અને સુરેન્દ્રનગરની શાળાઓમાં પણ વિશેષ કાર્યક્રમો યોજાશે.

પ્રવકતા મંત્રી પટેલે વધુમાં ઉમેર્યું કે, ઓખા, પોશિત્રા, કાળુભાર, જામનગર અને નવલખી એમ પાંચ અલગ-અલગ સ્થળોએ વિશેષ ડોલ્ફિન શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉજવણી પ્રસંગે સંસદ સભ્યો, ધારાસભ્યો, સ્થાનિક મહાનુભાવો, વિવિધ માછીમારો સહિત સ્વયંસેવકો સહભાગી થશે.