વડોદરામાં ૬૬ ટકા લોકો ફુલ્લી વેક્સિનેટેડ થયા

વડોદરામાં વાઈરલ ઇન્ફેક્શન અને મચ્છરજન્ય રોગચાળો વધતા સયાજી હોસ્પિટલની ઓપોડીમાં નોંધપાત્ર વધારો થયો છે. મંગળવારે ૧૪૨૯ દર્દીઓ ઓપીડીમાં આવ્યા હતા. જેમાં ૨૫૪ દર્દીઓ મેડિકલ ઓપીડીમાં નોંધાયા હતા. મંગળવારે લેવાયેલા શંકાસ્પદ ડેન્ગ્યુના ૧૧૧ નમૂનાઓ પૈકી ૩૪ કેસ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે ચિકનગુનિયાના લેવયેલા ૯૩ કેસ પૈકીના ૧૧ કેસ પોઝિટિવ આવતા તેઓની સારવાર શરૂ કરાઇ છે.

બીજી તરફ એસ.એસ.જી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસનો વધુ એક કેસ પોઝિટીવ નોંધાયો હતો.વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક ૭૨,૧૦૧ ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક ૬૨૩ ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૭૧,૪૬૧ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરા શહેરમાં છેલ્લા ૬૦ કલાકમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. શહેરમાં ૨,૪૭૧ સેમ્પલ લેવાયા હતા. જેમાં બધા જ સેમ્પલ નેગેટિવ આવ્યા હતા.

સોમવારે વડોદરા રૂરલમાં એક કેસ નોંધાયો હતો. એટલે છેલ્લા ૬૦ કલાકમાં શહેરમાં એક પણ કેસ કોરોનાનો પોઝિટિવ નોંધાયો નથી. હાલમાં વડોદરા શહેરમાં કોરોનાના ૧૬ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે માત્ર ૧ જ દર્દીને ઓક્સિજન પર સારવાર આપવામાં આવી છે.  વડોદરા શહેરમાં વર્ષ ૨૦૨૧ની ૮મી મેના રોજ એક જ દિવસમાં સૌથી વધુ ૯૮૯ કેસ નોંધાયા હતા. જોકે ત્યારબાદ કોરોના કેસમાં સતત ઘટાડો થયો હતો. મંગળવારે કોરોનાનો એકપણ નવો કેસ નહીં નોંધાતા તંત્રએ રાહતનો દમ લીધો છે.

શહેરમાં ગત ૨૦મી માર્ચ ૨૦૨૦ બાદ મંગળવારે શંકાસ્પદ કોરોનાના લેવાયેલા ૨,૪૭૧ કેસમાં એકપણ કેસ પોઝિટિવ આવ્યો નથી.  વડોદરા શહેરમાં ચાલી રહેલા કોરોના રસીકરણમાં મંગળવારે ઈદની રજામાં રસીકરણ માટે ભારે ધસારો જોવા મળ્યો હતો આરોગ્ય વિભાગના આંકડા મુજબ ૨૦,૪૩૯ લોકોએ રસી મુકાવી હતી. મંગળવારે પ્રથમ ડોઝની સંખ્યા ૬૬૨૨ નોંધાઇ હતી. આ સાથે પ્રથમ ડોઝના કુલ રસીકરણનો આ ૯૪.૨૦ ટકાએ પહોંચ્યો હતો. જ્યારે બીજો ડોઝ લેનારની સંખ્યા ૧૩૮૧૭ નોંધાઇ હતી. આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા મુજબ દિવાળી સુધીમાં તમામ લોકોને રસીનો પ્રથમ ડોઝ મૂકી દેવામાં આવે તે પ્રમાણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને જેને સફળતા મળી રહી છે માત્ર ૫ ટકા લોકો પ્રથમ ટેસ્ટમાં બાકી છે. પરંતુ. વાસ્તવમાં જોવા જઈએ તો કુલ અંદાજે ૬૬ ટકા લોકો ફુલ્લી વેક્સિનેટેડ થયા છે. જે બહુ મોટો આંકડો કહી શકાય.