૩ ખેતરોમાં 33 વીધામાં શોર્ટ સર્કિટથી આગ લગતા ઘઉંનો ઉભો પાક બળીને ખાક

રાજકોટ: નસીબ ક્યારે કેવો ખેલ બતાવે તે કોણે ખબર. કોઈને પાંચેય આંગળી ઘીમાં હોય, તો કોઈનું નસીબ વાંકું નીકળે. તેમાં પણ ગુજરાતના ખેડૂતોને ન જાણે કોની નજર લાગી છે. છેલ્લાં કેટલાય સમયથી જગતનો તાત વિવિધ કુદરતી આફતોનો સામનો કરી રહ્યો છે. ખેતરમાં માંડ પાક લહેરાય ત્યાં માવઠું, વાવાઝોડું ખેડૂતની કમર ભાંગી દે છે. ત્યારે આજે રોજકાટના ઉપલેટમાં ત્રણ ખેડૂતોએ મહામહેનતે પકવેલા ઘઉં બળીને રાખ થઈ ગયા હતા. ૩૩ વીઘા ખેતરમાં આગ લાગતા તમામ ઘઉં બળી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં શોર્ટ સર્કિટને કારણે ઘઉં સળગ્યાની ઘટના બની હતી. ઉપલેટા તાલુકાના જાર ગામે વીજ તારમાં શોર્ટ સર્કિટને કારણે ઘઉંના ખેતરોમાં આગ લાગી હતી. જોતજોતામાં આખા ખેતર સળગી ઉઠ્‌યા હતા. આગની ઘટનામાં જાર ગામના લખમણભાઈ હરસુરભાઈ હુંબલના ૧૪ વીઘા, તેમના ભાઈ ગોવિંદભાઈ હરસુરભાઈ હુંબલના ૧૦ વીઘા તેમજ કાનાભાઈ દેવાયતભાઈ હુંબલના ૯ વીઘા મળી કુલ  ૩૩ વીઘા ઘઉં બળીને રાખ થયા હતા. લખમણભાઇને ૨ લાખ ૮૦ હજારનું, ગોવિંદભાઈને ૨ લાખ જ્યારે કાનાભાઈને ૧ લાખ ૮૦ હજારનું નુકસાન થયું છે. આમ, ત્રણેય ખેડૂતોને મળીને કુલ ૬ લાખ ૬૦ હજાર રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આમ, ખેડૂતના મોઢે આવેલો કોળીયો છીનવાઈ જતા જગતનો તાત લાચાર બન્યો છે.

કમોસમી વરસાદ, માવઠા તેમજ પાકમાં આવતા રોગને કારણે ખેડૂતોની હાલત કફોડી હોય છે. જગતના તાતને પડ્યા પર પાટુ આવતા મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. GEB તંત્રને જાણ કરતા ભાયાવદર GEB તંત્ર દોડી આવ્યું હતું. જીઈબી તંત્ર પહોંચે ત્યાં સુધીમાં માત્ર અડધો કલાકમાં ભારે પવનને કારણે ત્રણેય ખેતરો બળીને ખાખ થયા હતા. અગાઉ પણ તંત્રને જાણ કરવા છતાં કોઈપણ પ્રકારની કામગીરી ન કરવામાં આવતા ખેડૂતોમાં રોષ વ્યાપી નીકળ્યો છે. સાંજે ઘઉં કાઢવા માટે હાર્વેસ્ટર આવવાનું હોય ત્યાં જ આ બનાવ બન્યો હતો. ખેડૂતો દ્વારા ભાયાવદર વીજ તંત્ર સામે ભાયાવદર પોલીસમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે ખેડૂતોને થયેલું આ નુકસાન કોણ સહન કરશે. એક તરફ સરકાર સહાયના નામે ખેડૂતો સાથે મજાક કરે છે. ત્યારે બીજી તરફ, આવી ઘટનાઓ પર કોઈ જવાબદારી લેવા તૈયાર થતુ નથી.