રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટોઃ ઝાકળથી રસ્તા ભીંજાયા

કેરીના પાકને નુકસાનની ખેડૂતોને ભીતિ

રાજકોટ ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને કચ્છ જિલ્લામાં ઉષ્ણ લહેર ફરી વળી હતી. હવામાન વિભાગે આ ઉનાળો કેવો હશે એની ઝલક આપતી બળબળતી લૂ વરસતાં લોકો સમજી ગયા છે. લોકો શરૂઆતના મહિનાઓથી પડતી ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. ઘણાંખરા શહેરોમાં તાપમાન અસામાન્ય રીતે ઊંચકાયેલું ન્હોતું છતાં બપોરે તેમજ પવન સાથે લૂં ફૂંકાઈ હતી અને રાજકોટ તો રાજયભરમાં સૌથી ગરમ શહેર બની રહ્યું હતું. બીજી બાજુ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આજે એકાએક પલટો આવ્યો હોવાની માહિતી મળી રહી છે.

આજે સવારે ગુજરાતના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં પંચમહાલ, મહિસાગર જિલ્લામાં વાતાવરણ પલટાયું છે, જ્યારે લુણાવાડા, ખાનપુર તાલુકામાં ધુમ્મસ જેવું વાતાવરણ છવાયું છે. અરવલ્લીના બાયડમાં પણ ધુમ્મસભર્યુ વાતાવરણ જાેવા મળી રહ્યું છે. આ સિવાય નવસારી જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ જાેવા મળ્યું છે. વાદળ છાયું વાતાવરણને કારણે નવસારી જીલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાદળછાયું વાતાવરણને કારણે જીલ્લામાં કેરીના પાકને નુક્શાનની ખેડૂતોને ભીતિ છે.

આ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન ૬.૭ ડીગ્રી નોંધાયું છે. આજે વહેલી સવારથી આ જિલ્લાઓના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, સાથે જ સવારે ઝાકળ પડતા અનેક રસ્તાઓ ભીંજાયા છે. બીજા ફાલમાં આવેલી કેરીના પાકને નુક્શાનની ખેડૂતોને ભીતિ છે. હવામાન વિભાગે બીજી બાજુ આજથી ગીર, સોમનાથ, કચ્છ, પોરબંદર અને રાજકોટમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાતના જામનગર શહેર અને જિલ્લામાં બે દિવસથી મોસમે ફરીથી મિજાજ બદલ્યો છે અને બપોર દરમિયાન કાળઝાળ ગરમી અને વહેલી સવારે ભેજયુક્ત વાતાવરણમાં લઈને ફરીથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એટલું જ માત્ર નહીં પવનની તીવ્રતામાં પણ વધારો નોંધાયો હોવાથી બપોર દરમ્યાન ગરમ લૂ ફેંકાઈ હતી. પ્રતિ કલાકનાં ૪૦ કિ.મી.ની ઝડપે ફૂકાયેલા તોફાની પવનના કારણે શહેરમાં ધૂળની ડમરીઓ ઉડી હતી.

આજે વહેલી સવારે ભારે ઝાકળવર્ષાના કારણે સૂર્યનારાયણના દર્શન મોડા થયા હતાં. તેમ જ માર્ગો પર પાણીના રેલા ઉતારી રહ્યાં હતાં. ધુમ્મસ છવાયું હોવાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. હવામાન વિભાગે આગામી શુક્રવાર અને શનિવારે રાજકોટ, પોરબંદર તથા ગીર સોમનાથ જિલ્લામાં હીટ વેવ કન્ડીશન રહેવાની આગાહી સાથે લોકોને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા અપીલ કરી છે.