મારે વોટ માંગવા નથી, જો તમારૂ ભલું થયું હોય તો જ વોટ આપજો : વડાપ્રધાન

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન સંપન્ન થયા બાદ તમામ રાજકીય પક્ષોના નેતાઓએ હવે બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર જોરશોરથી  શરૂ કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંકરેજથી કહ્યું હતું કે, પહેલાં ચરણમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીનો ડંકો વગાડી દીધો છે. અહિંયા મારૂ સ્વાગત થયુ, મને પાઘડી પહેરાવી કાંકરેજી ગાયની પ્રતિકૃતિ ભેટ આપી છે. આપણી કાંકરેજી ગાયો જેવી દેશી નસ્લની ગાયો આ વિરાસતને સમૃદ્ધ કરે છે. આપણે બનાસડેરીને બનાસ કિનારેથી ગંગા કિનારે એટલે કે કાશીમાં લઇ જવા માટે કામ કરી રહ્યા છીએ.

ભાજપ સિંચાઇ માટે લગાતાર કામ કરે છે. જે બનાસકાંઠાની કોઇ ઓળખ નહોતી, તેને પાણી મળ્યું બટાકા અને અનારની ઓળખ મળી છે. નર્મદાના પાણી માટે કોંગ્રેસે લોલીપોપ આપ્યા પણ પાણી ન આપ્યું. સરદાર સરોવર ડેમ ન બને તે માટે અનેક અવરોધો ઉભા કર્યા, જેણે સરદાર સરોવર ડેમ અટકાવ્યો હતો, એમના ખભે હાથ મૂકીને કોંગ્રેસના નેતા પદયાત્રા કરે છે. જેણે પાણીને રોક્યું હોય એ પાપને માફ પણ ન કરાય એની જગ્યાએ ખભે હાથ મૂકે છે. કોંગ્રેસની નીતિ હતી લટકાના, અટકાના ઔર પટકાના છે. આ ચૂંટણીમાં તમારે આ નથી ભૂલવાનું. વધુમાં વડાપ્રધાને જણાવ્યું કે, કોંગ્રેસના સ્વભાવમાં છે કે, તેને ફાયદો ન થાય એ કામ જ ન કરવાનું, ચોકડીઓ ખોદવા લોકો જતા એમાં પણ કોંગ્રેસ કટકી કરતી. આજે નર્મદાનું પાણી અમે ઘરે ઘરે પહોંચાડ્યું છે. બનાસકાંઠાના ભાઇઓ લખી રાખો આ મોદી છે તો કંઇ જ અશક્ય નથી. જે કહું એ કરવાનું એનું નામ જ મોદી… ૨૦૧૪માં તમે મને દિલ્હી મોકલ્યો ત્યારે ફાઇલો જોઇ, પછી મને વિચાર આવ્યો કે ખેડૂતોને પાણી આપો તે કંઇપણ કરી શકશે. મે પાણી આપ્યુ અને તમે મહેનત કરી. ટપક સિંચાઈથી પાણી પણ બચ્યું અને ખેતીને પણ આવક થઈ. દેશમાં જેટલું અનાજ પેદા થાય છે એના કરતાં પણ વધારે પૈસાનું દૂધ ઉત્પાદન થાય છે. બનાસકાંઠા આટલુ લીલુછમ છે, મારે વોટ માંગવા નથી, જો તમારૂ ભલું થયું હોય તો જ વોટ આપજો. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને આડેહાથ લેતા વધુમાં જણાવ્યું કે, કોંગ્રસના રાજમાં કરોડોના ગોટાળા થતા, આ હું નથી કહેતો છાપાવાળા લખતા હતા. મારા આવ્યા પછી તમને આવું વાંચવા નહીં મળ્યું હોય, આ બધા પૈસા બચ્યા અને તમારા માટે કામ આવ્યા. ભ્રષ્ટાચાર પકડાય છે એટલે એમના પેટમાં તેલ રેડાય છે. કોંગ્રેસીઓ રાશનકાર્ડમાંથી ગરીબોનું અનાજ પણ ખાઇ ગયા છે. ૪ કરોડ એવા રેશકાર્ડ હતા કે જે વ્યક્તિનો જન્મ જ નહોતો થયો અને જેનો જન્મ ન થયો હોય એના લગ્ન થઇ ગયા હોય, સમુહ લગ્નના પૈસા મળે પછી વિધવા પેન્સન લેતા, આ કોંગ્રેસીઓ આવું કરતા હતા. આવા ૪ કરોડ રેશનકાર્ડ કેન્સલ કરીને મે આગળનો રસ્તો કર્યો, બધા રાશનકાર્ડને આધારકાર્ડથી જોડી દીધા, દુકાનોને ઇન્ટનેટથી જોડી દીધી. હવે ટ્રકમાં માલ ચડ્યાથી ગ્રાહકને મળે ત્યાં સુધી ટ્રેકિંગ થાય છે એટલે કટકી કરવા નથી મળતી. કટકી કરવા ન મળે એટલે મોદીને ગાળો બોલે છે.

દેશને લૂંટે એની સામે મોદી લાલ આંખ કરે કરે ને કરે જ.. વડાપ્રધાને કહ્યું કે, ઘરમાં ગંભીર માંદગી આવી હોય તો ગરીબ માણસ પાંચ વર્ષ દેવામાંથી બહાર ન આવે, અમે મા કાર્ડ જેવી યોજનાઓ લાવી અને ગરીબોની મદદ કરવાનું શરૂ કર્યું. કોરોનામાં આખી દુનિયા અધ્ધર થઇ હતી, આપણા પગ જમીન પર રહ્યા છે. આ દેશનો કોઇ ગરીબ ભુખ્યો ન રહે તેની ચિંતા અમે કરી, ત્રણ વર્ષ સુધી ૮૦ કરોડ લોકોને મફતમાં અમે અનાજ આપ્યું. કોરોનામાં વેક્સિનનો તમારે એક રુપિયાનો ખર્ચ થયો? તમારા આશીવાર્દ જ મને હારવા નથી દેવાના. આપણે વિદેશમાંથી યુરિયા લાવવો પડે છે, સરકારને ૨૦૦૦માં પડે છે અને તમને ૨૭૦માં પડે છે. હવે આપણે નેનો યુરિયા બનાવી રહ્યા છે, એક થેલી જેટલું કામ એક બોટલ કરશે. કોંગ્રસવાળાની ખબર હતી એ ગામમાં મોટા મોટાને સાચવી લે એટલે એમની દુકાન ચાલતી હતી. દેવા નાબુદીના નામે કોંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યો, જેના ઘરે બે-બે ટ્રેક્ટર હોય એના દેવા માફ થતા હતા, ગરીબ માણસને દીકરી પરણાવવી હોય તો જમીન વેચવી પડતી હતી. અમે પી.એમ કિશાન યોજના લાવીને અત્યાક સુધી ૨ લાખ કરોડ રૂપિયા સીધા ખાતામાં આપ્યા, વચ્ચે કોઇને કટકી કરવા ન મળી. બનાસકાંઠામાં ૫ લાખ ખેડૂતોને પૈસા મળ્યા, કટકી કરવા ન મળી એ મોદીનો વિરોધ કરે છે.

હવે અંબાજી-તારંગા રેલવે લાઇન બનવા જઇ રહી છે, ટુરિઝમને નવો અવકાશ મળશે. નડાબેટ પર કોઇ ડોકિયું નહોતું કરતું અત્યારે હજારો લોકો આવે છે, દેશની ધરોહરની રક્ષા માટે અમે કામ કર્યું છે. ટૂરિઝમનો અવકાશ મળ્યો તો, આવક વધી છે. બનાસકાંઠામાં તમારે બધાએ કમળ ખીલવવાના છે, પાકા પાયે વધુમાં વધુ મતદાન કરાવીને બધા રેકોર્ડ તોડવાના છે.