ગાયના છાણ વડે હવન કરવાથી ૧૨ કલાક સુધી ઘર સેનિટાઈઝ રહે છેઃ ઉષા ઠાકુર

મધ્ય પ્રદેશના સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુરે કોરોના વાયરસથી બચવા માટે એક ખૂબ જ વિચિત્ર તર્ક આપ્યો હતો. ઉષા ઠાકુરે વૈદિક જીવનશૈલી અપનાવવા પર જોર આપતા કહ્યું હતું કે, “જો તમે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે ગાયના છાણના હવનમાં શુદ્ધ ઘીની આહુતિઓ આપો તો તમારૂં ઘર ૧૨ કલાક સેનિટાઈઝ રહેશે.”

ઉષા ઠાકુરે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આગલી સાંજે ઈંદોર ખાતે એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ‘કોરોના વાયરસના પ્રકોપે આપણને તેનો સામનો કરવા એલોપથીની સાથે વૈદિક દિનચર્યા અપનાવવી પડશે તે શીખવી દીધું. કોવિડ-૧૯એ આપણને વૈદિક જીવન પદ્ધતિના માર્ગે પાછા વળવાનો સંકેત આપ્યો છે.’

ઉષા ઠાકુરે કહ્યું કે, ‘ઘરને સેનિટાઈઝ કરવા માટે તમે ગાયના દૂધમાંથી બનેલા ઘીને ચોખા સાથે મિક્સ કરો (જે પૂજામાં વપરાય છે) અને સૂર્યોદય, સૂર્યાસ્તના સમયે હવન દરમિયાન ગાયના છાણના હવન પર આ મિશ્રણની આહુતિ આપો. આ હવન કરવાથી ઘર ૧૨ કલાક સુધી સેનિટાઈઝ રહેશે.