ગુજરાતના ખેડૂતોને ઉનાળામાં પાક વાવેતર માટે ૨.૨૭ મિલીયન એકર ફીટ વધારાનું પાણી મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટ બેઠકના બ્રિફિંગમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, આ વર્ષે રાજ્યના ખેડૂતોને ઉનાળામાં સિંચાઇ માટે વધારાનું ૨.૨૭ મિલીયન એકર ફીટ પાણી મળશે.

તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે, આ વર્ષે નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ગુજરાતને દર વર્ષે ફાળવણી થતા ૯ MAF પાણીના સ્થાને કુલ ૧૧.૨૭ મિલયન એકર ફીટ પાણીની ફાળવણી કરી છે. જેના પરિણામે આ વર્ષે ગુજરાતના ખેડૂતોના ભાગે વધારાનું પાણી સિંચાઇ માટે ઉપલબ્ધ બનશે.

વધુમાં તેમણે ઉમેર્યુ કે રાજ્યના જે ડેમોમા જૂથ યોજનાઓ છે ત્યાં નર્મદા સિવાયનું પણ પાણી આપવામાં આવશે. જેના પરિણામે આ વર્ષે રાજ્યના ખેડૂતોને વાવેતરમાં વધુ સરળતા રહેશે તેવું મંત્રી એ ઉમેર્યુ હતુ.

રાજ્યમાં આ વર્ષે પણ ઉનાળામાં  પીવાના પાણીની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.