જીપીસીબી રાજ્યભરમાં પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહી કરે : હાઈકોર્ટ

ગુજરાત હાઇકોર્ટમાં સાબરમતી નદી પ્રદૂષણ મામલે સુનવણી હાથ ધરવામાં આવી. જેમાં એક ઔદ્યોગિક એક દ્વારા અરજી કરવામાં આવી છે, કે જે પ્રમાણે અમદાવાદમાં ઔધોગિક એકમો સામે કાર્યવાહી થઈ છે, તે જ પ્રમાણે રાજ્યભરમાં પ્રદૂષણ ફેલાવતા એકમોના કનેક્શન આપવામાં આવે. જેથી જસ્ટિસ જે.બી.પારડીવાલાની અને જસ્ટિસ વૈભવના માટેની ખંડપીઠે એકમના આ પ્રકારના વલણ સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરી. કોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું કે, ‘કોઈ અરજદાર આવીને હાઇકોર્ટને કહે મારું કનેક્શન કાપી નાંખવામાં આવ્યું છે. એટલે બધાને કનેક્શન કાપો, તે પ્રકારનું વલણ ન ચલાવી લેવાય’. સાબરમતી નદી પ્રદૂષણ મામલે કોર્ટે ઘણાય ઓર્ડર કર્યા છે, હજારો કાગળના ઓર્ડર છે, જેના આધારે હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે રાજ્યભરમાં અમલ કરવાની જવાબદારી છે.

હાઇકોર્ટના નિર્દેશ બાદ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ એનઇઆરઆઈને સીઇટીપી-એસટીપી પ્લાન્ટના નિરીક્ષણની કામગીરી સોંપી હતી. પરંતુ કોર્ટે તેની કામગીરી સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો છે. કારણ કે જીપીસીબીએ એનઇઆરઆઈ એટલે કે નેશનલ એન્વાયરમેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટને ૯૦ લાખ રૂપિયા ચૂકવીને તેની પાસે આ પ્લાન્ટનું નિરિક્ષણ કરી તેને કેમ કરી સુધારો લાવી શકાય તે અંગે રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી સોંપી હતી. પરંતુ આ કામ સંતોષ પૂર્વક ન કરી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ કોર્ટ મિત્ર પોતાની રજૂઆત કરી રહ્યા હતા, ત્યારે રજૂઆત કરવા માટે ઔદ્યોગિક એકમના વકીલે પોતાને સાંભળવા સમય અપાય, તેવી માંગ કરી. જેને લઇને કોર્ટે ટકોર કરી કે, ‘હવે બહુ થયું જો પાણી છોડવાની અરજી હોય તો તેઓ કોઈ પણ હિસાબે પરવાનગી આપવા નથી, તેને ડિસમિસ કરશે. હવે તો સુપ્રીમ કોર્ટે પણ તેમના આદેશને યોગ્ય માન્યો છે’. મોટી વાત એ છે કે, કોર્ટ મિત્ર એ પણ નિવેદન કર્યું છે કે, કોર્પોરેશન તરફથી મહત્વની વિગતો નથી આપવામાં આવી રહી. સુનાવણી દરમિયાન કોર્ટ મિત્રે એક મોટો ખુલાસો પણ કર્યો છે કે સાબરમતી નદીમાં વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનોમાં પણ ઇન્ડસ્ટ્રીના ઔધોગિક પાણી છોડી રહ્યા છે. જેના કારણે પણ નદીમાં પ્રદુષણ વધ્યું છે. જોઇન્ટ ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે, અમદાવાદના ૧૦માંથી ૫ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કાર્યક્ષમતા સુધરી છે. હજુ પણ ૫ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિર્દિષ્ટ ધોરણો પ્રમાણે કાર્યરત નથી.

નદીમાં છોડાતાં ગંદા પાણી અને ગટરના પાણીમાં પ્રદૂષિતતાનું પ્રમાણ વધ્યું છે. આ સુનાવણીમાં ગાંધીનગર મહાનગર પાલિકાએ પણ દૂષિત પાણી સાબરમતીમાં સોસાયટી સામે કાર્યવાહી કરવા માટે નિવેદન આપ્યું છે. કોર્પોરેશને કોર્ટને કહ્યું કે શહેરભરમાં ૯૭૦ કિલોમીટરની વરસાદી પાણીની લાઈનો નંખાઈ છે, એમાં પ્રદુષણનું પ્રમાણ સૂચવે છે કે ગેરકાયદેસર જોડાણ છે.

ઉપરાંત ડ્રોન સર્વેલન્સ માટે પણ ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં સાબરમતી નદીનું સર્વેલન્સ કરવામાં આવશે. કોર્ટે કોર્પોરેશનને ટકોર કરતા એ પણ કહ્યું, કે કોન્ક્રીટ એક્શન પ્લાન વિના કશું સિદ્ધ નહિ થાય, અત્યાર સુધીની તમામ મહેનત બેકાર જશે. જેથી કડકાઇથી કાર્યવાહી કરશો તો જ પરિણામ દેખાશે. અત્યાર સુધીમાં તમામની મહેનત છે એને બેકાર જવા ના દેવાય’.