ગીર જંગલમાં વનરક્ષકો-વનપાલ કર્મીઓ માગોનો ઉકેલ ન આવતા અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા

ગીર જંગલમાં ફરજ બજાવતા વનરક્ષક અને વનપાલ સહિતના ૪૦૦ જેટલા કર્મચારીઓ ગ્રેડ પે વધારવા અને ભરતી-બઢતીનો રેશીયો ૧ઃ૩ કરી આપવા સહિતની પડતર માંગણીઓને લઈ આજથી હડતાલ પર ઉતરી ગયા છે. જેના પગલે ગીર જંગલ રેઢું પડ બની ગયું છે. પડતર માંગણીઓ સંદર્ભે થોડા સમય અગાઉ લેખીત રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ બે વખત ઉચ્ચ અધિકારીઓએ ગાંધીનગર બોલાવી પ્રશ્નો ઉકેલવાનો વિશ્વાસ આપી વધુ સમય માંગ્યો હતો. તેમ છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં વનકર્મીઓમાં રોષ પ્રવર્ત્યો હોવાથી હડતાલ ઉપર ઉતરવાની ફરજ પડી હોવાનું કર્મીઓના મંડળે જણાવ્યું હતું.

રાજ્ય વન વિભાગ હેઠળ જંગલમાં ફરજ બજાવતા વનરક્ષકો અને વનપાલ કર્મચારીઓના સંગઠને આજથી હડતાલ ઉપર ઉતરતા પહેલા જ રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા મુખ્યમંત્રીને ગ્રેડ પે વધારવા સહિતની માંગણીઓ સંદર્ભે લેખીત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે વનરક્ષકોને રૂ. ૨,૮૦૦નો ગ્રેડ પે અને વનપાલ કર્મચારીઓને રૂ. ૪૨૦૦નો ગ્રેડ પે આપવો, રજા પગાર આપવો તેમજ ભરતી-બઢતીનો રેશીયો ૧ઃ૩ કરી આપવા સહિતની માંગણી લાંબા સમયથી કરવામાં આવી રહી છે. જે અંગે અનેકવાર લેખીત મૌખિક રજુઆતો પણ કરવામાં આવેલ છે. તેમ છતાં તાજેતરમાં પોલીસ કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવાનો રાજ્ય સરકારે ર્નિણય કર્યો, જેની સામે વનકર્મીઓની માંગણીઓ સંદર્ભે કોઈ ર્નિણય ન કર્યો હોવાથી વનકર્મચારીઓમાં ભારે રોષ પ્રવર્ત્યો છે.

તા. ૨૩ ઓગષ્ટના રોજ અચોક્કસ મુદ્દતની રજા ઉપર ઉતરી જવા માટે જાહેરાત કરી હતી, ત્યારે વિભાગના અગ્ર મુખ્ય સચિવે ગાંધીનગર ખાતે રૂબરૂ બોલાવીને માંગણીઓનો ઉકેલ લાવવાનો વિશ્વાસ આપતા તે જાહેરાત સ્થગિત રાખવામાં આવી હતી. ત્યારબાદ ફરી તા. ૨૭ ઓગષ્ટના રોજ બોલાવીને અગ્ર સચિવે વધુ સમય માંગતા તા. ૫ સપ્ટેમ્બર સુધીમાં ર્નિણય કરવા જણાવ્યું હતું. તેમ છતાં આજદીન સુધી કોઈ ર્નિણય ન આવેલો હોવાથી સમગ્ર ગુજરાતના વનરક્ષકો તથા વનપાલ કર્મીઓને અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરવાની ફરજ પડી છે. તેમ છતાં અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો નાછુટકે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ફરજ પડશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારી છે.