ઉત્તર દિલ્હીમાં આવેલી ગાંધીનગર કાપડ માર્કેટમાં આગ, ફાયરવિભાગની ૩૫ ગાડીઓ ઘટનાસ્થળે

ઉત્તર દિલ્હીમાં આવેલી ગાંધીનગર કાપડ માર્કેટમાં બુધવાર સાંજે ભીષણ આગ લાગી હતી. ત્યારે આ દુર્ઘટનાને પગલે ફાયરવિભાગની ૩૫ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્ન કરી રહી હતી. ફાયરવિભાગના અધિકારી અતુલ ગર્ગે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યુ હતુ કે, આગ એક સાંકળી ગલીની અંદર લાગી છે. તેથી ગાડીઓ પહોંચી શકતી નથી અને આગ બુઝાવવામાં તકલીફ પડી રહી છે. ગાંધીનગરની નહેરુ ગલીમાં આવેલી જય અંબે નામની દુકાનમાં આગ લાગી છે. ફાયરવિભાગે જણાવ્યું છે કે, સાંજે ૫.૪૦ વાગ્યે આગ લાગવાની ઘટનાની જાણ થઈ હતી. ત્યારબાદ ફાયરવિભાગની ૩૫ ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.

જો કે, જે દુકાનમાં આગ લાગી છે તે ઘણી સાંકળી ગલીમાં છે અને આસપાસ પાણીની પણ કોઈ વ્યવસ્થા નથી. તેને લઈને આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્‌વીટ કરીને લખ્યું છે કે, ‘ગાંધીનગરના કાપડ માર્કેટ માર્કેટમાં લાગેલી આગ ઘણી દુર્ભાગ્યપૂર્ણ. ફાયરવિભાગ આગ બુઝાવવા માટેની કામગીરીમાં લાગ્યો છે. જિલ્લા પ્રસાશન પાસેથી આ ઘટનાની તમામ જાણકારી લઈ રહ્યો છું.

પ્રભુ શ્રી રામ બધું જ કુશળમંગળ રાખે.’ રાજધાની દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં આવેલી કાપડ માર્કેટને એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટ માનવામાં આવે છે. ત્યાં આસપાસ બધે જ કાપડની દુકાનો છે. એવામાં ચિંતાની વાત છે કે, આગ બીજી દુકાનો સુધી ના પહોંચે. હાલ તો શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યુ છે. જો કે, ફાયરવિભાગના લોકોનું કહેવું છે કે, તપાસ બાદ જ સાચું કારણ સામે આવશે.