છત્તીસગઢમાં હાલની ખાણમાં કોલસાની અછતને કારણે રાજસ્થાનમાં વીજ ઉત્પાદન પર અસર પડી રહી છે

રાજસ્થાનમાં વિજળી સંકટ વધુ ઘેરી બન્યું છે. ૨૩ થર્મલ સ્ટેશનોમાંથી ૧૧એ વીજળીનું ઉત્પાદન બંધ કરી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લાન્ટ્‌સને કોલસાની યોગ્ય સપ્લાય નથી મળી રહી. એક અધિકારીએ જણાવ્યું કે થર્મલ પાવર સ્ટેશન માટે કોલસાના ૩૭ રેકની જરૂર છે, પરંતુ હાલમાં માત્ર ૨૦ રેક ઉપલબ્ધ છે. જેના કારણે રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં વીજકાપનો સામનો કરવો પડી રહ્યો છે. કયારેક દિવસ દરમિયાન તો કયારેક રાત્રે વીજ પુરવઠો ખોરવાય છે. લોકોનું કહેવું છે કે જ્યારે આ સમસ્યા અંગે વીજ વિભાગને ફરિયાદ કરવામાં આવે છે ત્યારે તેઓ પણ તેની અવગણના કરે છે.

કહેવામાં આવી રહ્યું છે કે છત્તીસગઢમાં હાલની ખાણમાં કોલસાની અછતને કારણે રાજસ્થાનમાં વીજ ઉત્પાદન પર અસર પડી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દરરોજ ૩૦૦૦૦ મેટ્રિક ટનથી વધુ કોલસાના પુરવઠાની અછત છે. જેના કારણે હજારો મેગાવોટ વીજ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. વીજ કટોકટી નિવારવા માટે વિભાગ અને ઉર્જા વિકાસ નિગમ પ્રયાસો કરી રહ્યા છે. તેમ છતાં હજુ સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. છત્તીસગઢમાં સ્ટેટ ઇલેક્ટ્રિસિટી જનરેશન કોર્પોરેશનને ફાળવવામાં આવેલો કોલસો ખતમ થવાના આરે છે. તે જ સમયે, બાકીના કોલસાના ખાણને લઈને સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે.

કેન્દ્ર સરકારે ઓડિશામાં મહાનદી કોલ ફિલ્ડમાંથી વિદ્યુત ઉત્પદન નિગમને કોલસો ફાળવ્યો છે. જોકે અધિકારીઓનું કહેવું છે કે આ કોલસાની ગુણવત્તા સારી નથી. છત્તીસગઢના ૪૦૦૦ ટન કોલસામાંથી ૨૨૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય છે. તે જ સમયે, મહાનદી કોલફિલ્ડના કોલસામાંથી ૨૦૦ મેગાવોટથી ઓછી વીજળીનું ઉત્પાદન થાય છે. ત્યારે વીજ કટોકટીને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકારે સાથે મળીને આ સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસો કરવા જોઈએ તેવું ખેડૂત આગેવાનોનું માનવું છે. જ્યારે રાજ્યમાં ઓછો વરસાદ પડે છે ત્યારે ખેડૂતો તેમના ખેતરોમાં ટ્યુબવેલ દ્વારા જ સિંચાઈ કરે છે. આવી સ્થિતિમાં જો ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો નહીં મળે તો તેની અસર ખેતી પર પણ પડશે.