વડોદરામાં ગેસ લીકેજ બાદ આગ ફાટી નીકળી, ૩ વર્ષના પુત્રનું મોત, માતાની હાલત ગંભીર

વડોદરા શહેરના ગોત્રી જલારામ મંદિર પાસે આવેલી ચંદ્રમૌલેશ્વર સોસાયટીના એક મકાનમાં સાંજે ગેસ લીકેજ બાદ આગમાં માતા-પુત્ર દાઝ્‌યાં હતાં. જેમાંથી પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જલારામ મંદિર પાસે આવેલી ચંદ્રમૌલેશ્વર સોસાયટીના મકાન નંબર બી-૧૮ માં રહેતા પરિવારના સભ્યો ઘર બંધ કરી બહાર ગયા હતા. દરમિયાન સાંજે નયનાબેન બારોટ તેમના ત્રણ વર્ષના પુત્ર દેવાંગને લઇને ઘરે આવ્યાં હતાં અને મકાનનો દરવાજો ખોલી લાઇટની સ્વિચ ચાલુ કરતાં જ પ્રચંડ ધડાકો થયો હતો. તેમજ ઘરમાં આગ લાગી હતી. એકાએક આગ ફાટી નીકળતાં ૨૨ વર્ષીય નયનાબેન બારોટ અને તેમનો ત્રણ વર્ષનો પુત્ર દેવાંગ દાઝી ગયાં હતાં.

બ્લાસ્ટ થતાની સાથે જ સોસાયટીના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ બનાવને પગલે સોસાયટીમાં અફરાતફરી મચી ગઈ હતી. સોસાયટીના લોકોએ ઈજા પામેલાં માતા અને પુત્રને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.

બીજી બાજુ વડોદરા ફાયર બ્રિગેડને બનાવની જાણ કરી હતી અને લાશ્કરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ પરિવાર થોડા દિવસ પહેલાં જ આ ઘરમાં ભાડે રહેવા માટે આવ્યો હતો. જેથી પરિવારે જાતે જ ગેસ કનેક્શન ફિટ કર્યું હતું. જેથી એવી શક્યતા છે કે, ગેસની પાઇપમાં લીકેજ થયું અને આ દરમિયાન ઘર બંધ હતું. તેથી ઘરમાં ગેસ પ્રસરી ગયો હતો. જેવાં નયનાબેન પુત્ર સાથે બહારથી આવ્યાં અને લાઇટની સ્વિચ ચાલુ કરી તેવો જ સ્પાર્ક થતાં ગેસમાં બ્લાસ્ટ થયો. જેમાં માતા-પુત્ર ગંભીર રીતે ઘવાતા પુત્રનું ટૂંકી સારવારમાં જ મોત નીપજ્યું છે. જ્યારે માતાની સારવાર ચાલી રહી છે.