વડોદરામાં ૧૪ કરોડનો ખર્ચ કર્યા છતાં છાણી તળાવની હાલત ખરાબ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના તળાવોના બ્યુટીફિકેશન પાછળ કરવામાં આવેલો કરોડો રૂપિયાનો ખર્ચો પાણીમાં ગયો છે. બ્યુટીફિકેશન કરવામાં આવેલા તળાવોમાં લગભગ તમામ તળાવોની હાલત દયનીય બની ગઇ છે. જેમાં છાણી ગામના તળાવ પાછળ રૂપિયા ૧૪ કરોડ ખર્ચ કર્યા પછી પણ તળાવનું બ્યુટીફિકેશન ન થતાં લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્‌યો છે. કોર્પોરેશન દ્વારા બ્યુટીફિકેશન કરાયેલા તળાવોની જાળવણી કરી શકતું નથી. બાકી રહેલા તળાવોના બ્યુટીફિકેશનના નામે કામ શરૂ કરી નેતાઓ લોકોની વાહ વાહી મેળવી રહ્યા છે, ત્યારે છાણી ગામનો વડોદરામાં સમાવેશ થયા બાદ કોર્પોરેશનના શાસકો દ્વારા વિવિધ તળાવના બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરી હતી. જેમાં છાણી તળાવને રૂપિયા ૧૪ કરોડના ખર્ચે રિનોવેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

જો કે વર્ષો વિત્યા છતાં હજુ ઇજારદાર દ્વારા કામ પૂર્ણ કરવામાં ન આવતા ગામ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્‌યો છે. છાણી ગામના તળાવનું કામ છેલ્લા ઘણા સમયથી કોન્ટ્રાક્ટર દ્વારા બંધ કરી દેવામાં આવતા અત્યાર સુધી ખર્ચાયેલા કરોડો રૂપિયા પાણીમાં ગયા છે. તળાવના કિનારે વોકવે, ગાર્ડન, પેવર બ્લોક પાછળ રૂપિયા ૧૪ કરોડ ઉપરાંતનો ખર્ચ પાણીમાં ગયો છે.

આ તળાવનું બ્યુટીફિકેશન વહેલી તકે કરવામાં આવે તેવી અમારી માંગ છે. છેલ્લા કેટલાક સમયથી શહેરના તળાવોનુ બ્યુટીફિકેશન હાથ ધરવામાં આવ્યું છે. કેટલાક તળાવોનુ બ્યુટીફિકેશન થઇ ગયું છે. કેટલાક તળાવોની કામગીરી ચાલી રહી છે. અને જે તળાવોની કામગીરી કોન્ટ્રાક્ટરો દ્વારા સમય મર્યાદામાં પૂરી કરવામાં આવી નથી. તેવા કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી દંડાત્મક કાર્યવાહી કરીશું.