ગુજરાતમાં વાવાઝોડાને પગલે કોસ્ટગાર્ડ એલર્ટ

ગુજરાતમાં વાવાઝોડાને પગલે કોસ્ટગાર્ડ એલર્ટ છે. જેમાં દરિયો ન ખેડવા માછીમારોને સાવચેત કરવામાં આવ્યા છે.હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાને પગલે ગુજરાતના  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં વાવાઝોડું હાલ ગોવાથી ૮૪૦ કિલોમીટર દૂર છે. તેમજ મુંબઈથી ૮૭૦ કિલોમીટર દૂર છે. જ્યારે આગામી બે દિવસમાં ઉત્તર -ઉત્તર પશ્ચિમ તરફ તીવ્ર ગતિથી આગળ વધશે બિપરજોય વાવાઝોડાની અસરના પગલે આગામી  બે દિવસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડી શકે છે.

જ્યારે દેવભૂમિ દ્વારકાના દરિયામાં વાવાઝોડાની અસર હેઠળ ભારે કરંટ જોવા મળ્યો હતો. ભડકેશ્વરના દરિયાકાંઠે ૧૫ ફૂટ ઉંચા મોજા ઉછળ્યા છે.  ગોમતી ઘાટ પર દરિયાના ઉંચા મોજા વચ્ચે કેટલાક શ્રદ્ધાળુઓ જોખમી સ્નાન કરતા દેખાયા.ગોમતી ઘાટ પર યાત્રિકો અને સ્થાનિકોની ઘોર બેદરકારી જોતા દુર્ઘટના થવાનો ખતરો છે. અહીં વહીવટી તંત્ર અને પોલીસ શ્રદ્ધાળુઓને દરિયાથી દૂર રાખે તેવી સ્થાનિકોની માગણી છે.આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં સંભવિત વાવાઝોડાને લઈ વહીવટી તંત્ર સાબદું થયું છે. સુરતમાં ઓલપાડ તાલુકાના દરિયાઈ કાંઠાના ૨૭  ગામડાને એલર્ટ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લાના ડિઝાસ્ટર તંત્રએ જાન-માલની ખુવારી ન થાય તે માટે સાવચેતીના અનેક પગલા લીધા છે. સુરતના કલેક્ટર દ્વારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપ્યા છે.બિપરજોય વાવાઝોડાની અસરના પગલે આગામી  બે દિવસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડી શકે છે.તો ૧૦ જૂને સુરત, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, ભરૂચ, તાપી, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર અને દીવમાં વરસાદ પડવાની શક્યતા છે.. જ્યારે ૧૧ જૂને સુરત, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, ભરૂચ, તાપી, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર અને દીવમાં વરસાદની આગાહી છે.