દિલ્હીમાં વધતા વાયુ પ્રદુષણને દિલ્હીમાં ઝ્રદ્ગય્ કાર ઉપર પણ લાગશે પ્રતિબંધ

નવીદિલ્હીઃ દિલ્હી સરકારે પ્રદૂષણ કેસની સુનાવણી હાથ ધરાય તે પહેલા આજે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો છે. દિલ્હી સરકારે ઓડ ઈવન પધ્ધતિ ઉપર સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને, વાયુ પ્રદુષણને નિયંત્રણમાં લેવા માટે ઓડ ઈવન યોજનાને યોગ્ય ઠેરવી છે. એક વૈજ્ઞાનિક અભ્યાસને ટાંકીને દિલ્હી સરકારે કહ્યું છે કે, ઓડ ઈવન પધ્ધતિની સકારાત્મક અસર પડી છે. સરકાર હવે સીએનજી કાર પર પણ પ્રતિબંધ મૂકવાના પક્ષમાં છે.

દિલ્હી સરકારનું કહેવું છે કે, સીએનજી કાર ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે કારણ કે છેલ્લી વખત જ્યારે ઓડ-ઇવન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે લોકોએ જૂના વાહનો ખરીદ્યા હતા અને તેમાં સીએનજી કિટ લગાવી દીધી હતી. જેના કારણે તે સમયે બે પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ હતી. પ્રથમ તો એ કે, રસ્તાઓ પર વાહનોની સંખ્યામાં ઘટાડો થયો નહોતો અને બીજી સમસ્યા એ કે જૂની કારમાં સીએનજી ના હોવાથી તેને પેટ્રોલને બદલે સીએનજી કિટ લગાવીને પેટ્રોલ પર ચલાવવામાં આવતી હતી.

દિલ્હી સરકારે કહ્યું કે, લોકો સ્ટીકરો મેળવે છે અને જો સીએનજી ઉપલબ્ધ ન હોય તો પણ તેઓ તેને પેટ્રોલ પર ચલાવે છે, જેના કારણે વાયુ પ્રદૂષણમાં કોઈ ખાસ તફાવત નથી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા રિપોર્ટ અનુસાર, ઓડ-ઇવનથી રસ્તાઓ પર વાહનોની ભીડ ઓછી થઈ છે. ઉપરાંત, જાહેર પરિવહનના ઉપયોગમાં વધારો જોવા મળ્યો છે. સાથોસાથ બળતણના વપરાશમાં ૧૫ ટકાનો ઘટાડો થયો છે.

દિલ્હી સરકારે કહ્યું કે, ૨૦૧૫થી આ વર્ષે જુલાઈ સુધી એન્વાર્યમેન્ટ સેસ તરીકે ૧૪૯૧.૧૬ કરોડ રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા. દિલ્હી સરકારે કહ્યું કે નોન-દિલ્હી રેગ ટેક્સીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ શક્ય નથી. પરંતુ વિષમ સમયગાળા દરમિયાન ઇંધણ પર પ્રતિબંધ રહેશે. જો કે, દિલ્હી સરકાર દ્વારા આજે જે ડ્રાફ્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, તેમાં કહેવામાં આવ્યું છે કે કુલ નાની મોટી ૨૮ શ્રેણીઓને છૂટછાટ આપવામાં આવશે. આમ છતા આ અંગેનો અંતિમ નિર્ણય તો સુપ્રીમ કોર્ટ જ લેશે.