સુરેન્દ્રનગર જિલ્લાની ભૂગર્ભ ગટર યોજનાના કામોને મુખ્યમંત્રીની મંજૂરી

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આકાર પામનારી ધ્રાંગધ્રા નગરની આ ભૂગર્ભ ગટર યોજનાનો લાભ ૬ હજાર જેટલા ઘરોને મળશે. એટલું જ નહિ, નગરપાલિકામાં હાલ જનરેટ થતા પાંચ એમ.એલ.ડી સીવેજમાં આ ભૂગર્ભ ગટર યોજનાના કામો પૂર્ણ થવાથી વધુ ૩ એમ.એલ.ડી સીવેજ જનરેટ થશે અને સ્વચ્છતા-સફાઇમાં વધુ વેગ આવશે.ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરમાં નગરપાલિકાના ૧૯.૨૭ કરોડ રૂપિયાના ભૂગર્ભ ગટર યોજનાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ ભૂગર્ભ ગટરના કામોની મંજૂરી ભૂપેન્દ્ર પટેલે આપી છે. ધ્રાંગધ્રા નગરમાં આ ભૂગર્ભ ગટરના કામો પૂર્ણ થતાં નાગરિક સુવિધામાં વૃદ્ધિ થશે. ધ્રાંગધ્રા નગરપાલિકાએ આ ભૂગર્ભ ગટર યોજના માટે ૮૦ કિ.મી. કલેકટીંગ સીસ્ટમ સાથેના ૧૯.૨૭ કરોડ રૂપિયાના અંદાજો રાજ્ય સરકાર સમક્ષ રજૂ કર્યા હતા તેને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. તદઅનુસાર, આ ભૂગર્ભ ગટર યોજનાના ઘટકોમાં સીવર કલેકટીંગ સિસ્ટમ, મેનહોલ, હાઉસ કનેકશન ચેમ્બર તથા પમ્પીંગ સ્ટેશનનો સમાવેશ થવાનો છે.