ઉત્તરપ્રદેશના લખનઉમાં બિલ્ડીંગ ધરાશાયી થઇ, ૩ લોકોના મોત, ઘણા લોકો દટાયા હોવાની આશંકા

ઉત્તરપ્રદેશના લખનઉમાં વજીર હસનગંજ રોડ પર રહેણાંક મકાન ધરાશાયી થતાં ખળભળાટ મચી ગયો છે. આ અકસ્માતમાં ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે અને ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ સાથે જ SDRF અને NDRF ની ટીમો ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ભૂકંપના કારણે આ ઈમારત ધરાશાયી થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ ઘટના લખનઉના હઝરતગંજ વિસ્તારમાં વજીર હસન રોડ પર બની હતી અને ઈમારત જૂની હોવાનું કહેવાય છે.

બીજી તરફ આ દુર્ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવા સૂચના આપી છે. આ દુર્ઘટનાને લઈને સીએમ યોગી આદિત્યનાથે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓને તેમની યોગ્ય સારવાર માટે સૂચના આપી છે. આ સાથે સીએમ યોગીએ ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી છે. તો બીજી તરફ જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓની સાથે, એસડીઆરએફ, એનડીઆરએફની ટીમોને સ્થળ પર જઈને રાહત કાર્ય કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ ઘણી હોસ્પિટલોને એલર્ટ રહેવાની સૂચના પણ આપવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક અકસ્માતની ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ દુર્ઘટના અંગે ડેપ્યુટી સીએમએ કહ્યું કે, ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ, રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. SDRF, NDRF ની ટીમો ઘટનાસ્થળે હાજર છે, અત્યાર સુધીમાં ૩ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.  લોકોને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડેપ્યુટી સીએમએ કહ્યું કે લખનૌની તમામ હોસ્પિટલો એલર્ટ પર છે, એક ચાર માળનું મકાન અચાનક ધરાશાયી થયું છે. તમામ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે, વધુને વધુ એમ્બ્યુલન્સને સ્થળ પર બોલાવવામાં આવી છે, હજુ પણ ૨૦થી વધુ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે હાજર છે.