મહારાષ્ટ્રમાં થાણે જિલ્લાના ભિવંડીમાં ઇમારત ધરાશાયી, અત્યાર સુધીમાં ૭ના મોત

મહારાષ્ટ્રમાં થાણે જિલ્લાના ભિવંડીમાં ઈમારત ધરાશાયી થતાં ફસાયેલા લોકોને બચાવવાની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે. છેલ્લા ૪૨ કલાકથી એનડીઆરએફની ટીમ સતત બચાવ કાર્યમાં લાગેલી છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધી રહી છે. આજે ફરી એક વ્યક્તિના મોતના સમાચાર આવ્યા છે. તેની સાથે આ અકસ્માતમાં મૃત્યું આંક વધીને સાતનો થયો છે. કાટમાળમાં હજુ પણ કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે. જેને લઈને તંત્ર દ્વારા બચાવ કાર્ય ચાલુ રખાયું છે.

આપને જણાવી દઈએ કે ઈમારત ધરાશાયી થવાની ઘટના ગત શનિવારે બપોરે લગભગ ૧૨.૩૦ વાગ્યે બની હતી. ત્રણ માળની ઈમારત થોડી જ વારમાં ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટના સમયે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં કામ કરતા ૧૫ મજૂરો સિવાય ચાર પરિવારના બે ડઝનથી વધુ સભ્યો હાજર હતા. અકસ્માત બાદ આ તમામ લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોએ પોલીસને આ અંગે જાણ કરી હતી. આ પછી રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ કાટમાળ નીચે દબાયેલા ૧૪ લોકોને જીવતા બચાવ્યા હતા. જોકે ગઈકાલ સવાર સુધીમાં ત્રણ લોકોના મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યા હતા. સવારે બચાવ કાર્યમાં જોડાયેલા એનડીઆરએફ અધિકારીઓએ જણાવ્યું કે, ઘણો કાટમાળ હટાવી લેવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ સાત લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. આથી બચાવ ટીમો જેસીબી અને અન્ય પ્રકારે કાટમાળ હટાવવાનું કામ કરી કરાયુ હતું.