જાગૃતિ પહેલઃ પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા વલસાડમાં “સાયકલ 2 સ્કૂલ”નો કાર્યક્રમ યોજાયો

ભારતમાં પ્રથમવાર વલસાડની કુસુમ વિદ્યાલય દ્વારા જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં સાયકલ 2 સ્કૂલ”નો કાર્યક્રમ યોજાયો

દૂષણનું પ્રમાણ ઘટાડવા અને નાની વયમાં વાહન હંકારવુ જોખમી હોવાથી જાગૃતિ માટે પહેલ કરાઈ

કુસુમ વિદ્યાલયના અંદાજે ૩૦૦૦ વિદ્યાર્થી અને શિક્ષકોએ ઉત્સાહભેર સાયકલનો ઉપયોગ કર્યો


વલસાડ શહેરને હરિયાળુ, સુંદર અને પ્રદૂષણમુક્ત બનાવવા માટે તેમજ નાની વયમાં વિદ્યાર્થીઓ વાહન હંકારતા હોવાથી અકસ્માતનો પણ ભય રહે છે. જેથી ભારતભરમાં પ્રથમવાર વલસાડની કુસુમ વિદ્યાલય દ્વારા તા. ૨૪ માર્ચને શુક્રવારના રોજ “સાયકલ 2 સ્કૂલ”નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર્ગદર્શન આપી સાઈકલિંગ માટે પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે, પર્યાવરણની જાળવી માટે શહેરોને પ્રદૂષણમુક્ત બનાવવુ જરૂરી બન્યું છે. વાહનોના વધુ પડતા ઉપયોગને કારણે પ્રદૂષણનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. જેથી રોજબરોજના જીવનમાં સાયકલનો ઉપયોગ અનિવાર્ય છે. વધુમાં કલેકટરે વિદ્યાર્થીઓ અને સમાજના વિશાળ હિતમાં સાયકલિંગના ઉપયોગ બાબતે રસ્તા, ટ્રાફિક વગેરે જેવી કોઈપણ તકલીફ જણાશે તો મદદરૂપ થવાની ખાતરી આપી હતી.

કુસુમ વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી અર્ચનાબેન દેસાઈએ જણાવ્યું કે, નાની વયમાં વિદ્યાર્થીઓ વાહન હંકારતા જોવા મળે છે, જે બાળકો અને વાલીઓ માટે પણ જોખમી છે. સાયકલના ઉપયોગથી આ વિવિધ મુશ્કેલીઓનો તો અંત આવશે જ પણ સાથે સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થય માટે પણ સાયકલનો ઉપયોગ હિતાવહ રહેશે. શુક્રવારે શાળામાં માત્ર સાયકલને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે વાલીઓ પણ પોતાની જીવનશૈલીમાં સાયકલનો ઉપયોગ કરે તે માટે સંદેશ આપવામાં આવ્યો હતો. કુસુમ વિદ્યાલયના અંદાજે ૩૦૦૦ વિદ્યાર્થી અને શિક્ષકોએ ઉત્સાહભેર સાયકલનો ઉપયોગ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

BYCS ઇન્ડિયા ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડૉ. ભૈરવી જોશીએ સાયકલ ટૂ સ્કૂલ કાર્યક્રમની જાણકારી આપી કહ્યું કે, વલસાડની કુસુમ વિદ્યાલય શાળામાં “સાયકલ 2 સ્કૂલ”નો પ્રોગ્રામ ભારતભરમાં પ્રથમવાર થઈ રહ્યો છે. જે અભિનંદનને પાત્ર છે. આ કાર્યક્રમથી વિદ્યાર્થી અને વાલીઓમાં પણ જાગૃતિ આવશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના નિયોજક વિવેકભાઈ દેસાઈ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.