ગુજરાત રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ હજુ રહેશે યથાવત

રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ છે. ૨૪ કલાક સુધી રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગના મતે સાઉથ વેસ્ટ રાજસ્થાન તરફના સર્ક્‌યુલેશનના કારણે વરસાદ વરસી શકે છે, જૂનાગઢ, પોરબંદર, જામનગર,ભાવનગર, બોટાદ,કચ્છમાં માવઠાની આગાહી છે સાથે આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ વરસી શકે છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને બે દિવસ બાદ તાપમાનનો પારો વધશે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં ચોમાસું બેઠું હોય તેવો માહોલ જામ્યો છે. ઘણી જગ્યાએ છેલ્લા પાંચ-છ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં વધુ એક સાયક્લોનિક સર્ક્‌યુલેશન સિસ્ટમ બની છે. જેના કારણે ૨૯ માર્ચથી માવઠાંનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. જે સતત ૫ દિવસ સુધી રહી શકે છે. એટલે કે ૨ એપ્રિલ સુધી વરસાદ વરસી શકે છે.