સુરતની વધુ એક હોસ્પિટલમાં લાગી આગ, જાનહાની ટળી

કોરોના મહામારી વચ્ચે સુરત સહિત રાજ્યનાં અન્ય જીલ્લાઓમાં પણ હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરતની આયુષ હોસ્પિટલ બાદ આજે અઠવાગેટ સ્થિત મેટાસ એડવેન્ટિસ હોસ્પિટલમાં આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી હતી. જો કે, ફાયર વિભાગે પહોંચી આગ કાબૂમાં લઈ લીધી હતી.

સુરતના અઠવાગેટ નજીક આવેલી મેટાસ એડવેન્ટિસ હોસ્પિટલનાં ઓનકોલોજી વોર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગને લઈને તાત્કાલિક આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેને પગલે તાત્કાલિક ફાયરની ચાર ટીમો ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

આગ લાગી તે વોર્ડમાં માત્ર બે દર્દી જ હોવાથી મોટી જાનહાની ટળી હતી. હાલ બંન્ને દર્દીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમીક તપાસમાં એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફાયર વિભાગની ટીમ સમયસર આવી જતા મોટી જાનહાની નિવારી શકાઇ હતી. દર્દીઓને હોસ્પિટલ સ્ટાફ દ્વારા જ પહેલા બહાર કાઢી લેવાયા હતા.

કોરોના કાળમાં અનેક હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના સામે આવતી જ રહે છે. સુરતનાં લાલદરવાજા ખાતે પરમ ડોક્ટર હાઉસના બિલ્ડિંગના ૫માં માળે આયુષ હોસ્પિટલના આઇસીયુમાં મોડી રાત્રે આગ લાગી હતી. જેના કારણે ૧૮ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવા પડ્યાં હતા.