અંબાલાલ પટેલની આગાહીઃ ઓક્ટોબર માસમાં બીજી સિસ્ટમ આવશે તો ચક્રવાત થશે

અમદાવાદઃ રાજ્યમાં હાલ મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ભાદરવા માસના પ્રારંભથી મેઘરાજા રાજ્ય ઉપર મહેરબાન થયા હોય તે પ્રકારે પોતાની અસર બતાવી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, રાજ્યમાં જળતાંડવ થાય તેવી શક્યતા છે. આ સાથે તેમણે નવરાત્રીમાં પણ વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, કડી, બેચરાજી, હારીજના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે તારીખ ૧૯ અને ૨૦માં જળ તાંડવ થાય તેવી શક્યતા છે. બનાસકાંઠા અને રાજસ્થાનના સરહદના ભાગોમાં અગમચેતી રાખવાની જરૂર છે. ઓક્ટોબર માસમાં બીજી સિસ્ટમ આવશે ત્યારે ચક્રવાતનું પ્રમાણ વધશે. બંગાળના ઉપસાગરમાં બરાબરની હલચલ થશે. નવેમ્બર અને ડિસેમ્બર સુધીમાં ચક્રવાતનું પ્રમાણ રહ્યા કરશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં થોડા થોડા કરીને વરસાદના વધુ ઝાપટાં આવી શકે છે.

અંબાલાલ પટેલે કહ્યું, આગામી ૨૦ તારીખ સુધી હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે. ઓક્ટોબર માસમાં અરબી સમુદ્રમાં એક ચક્રવાત સર્જાશે, જેની ગતિ ૧૫૦ કિલોમીટરથી પણ વધુ રહેવાની શક્યતા છે. ૧૨ ઓકટોબરે તમિલનાડુ વિસ્તારમાં આ સિસ્ટમ આવવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના દક્ષિણ પૂર્વીય વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે. આ ચક્રવાતના પગલે ઓકટોબર માસના મધ્ય ભાગમાં ગુજરાતમાં વરસાદ થશે. હાલ વરસાદી સિસ્ટમ દરિયા વિસ્તાર તરફ જઈ રહી છે ત્યારે બનાસકાંઠા, કચ્છ, જામનગર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી ૨૪ કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વધુ વરસાદ પડી શકવાની શક્યતા રહેશે. આ સાથે બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

૨૦, ૨૧ તારીખોમાં કચ્છના ભાગો અને ઉપર પાકિસ્તાનના ભાગોમાં થઇને સમુદ્રમાં આ સિસ્ટમ જતી રહેશે. ૧૯ અને ૨૦ તારીખમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યા રહેશે. વાવ, થરાદ, દાંતીવડા, અમીરગઢ, ડિસામાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ભાગોમાં વરસાદ વધુ થવાની શક્યતા રહેશે. જ્યારે બનાસ નદીમાં પાણીની આવક વધારે રહેશે. આ સાથે પાટણના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પણ થઇ શકે છે. રાપરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે મુંદ્રા, ભચાઉ, જખૌ, ગાંધીધામ, અંજાર, કંડલા, માંડવી, ભુજ અને નખત્રાણામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.

ભાવનગર, ગીર સોમનાથના ભાગોમાં તથા પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો જેમકે, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારપછી સૌરાષ્ટ્રના કોઇપણ ભાગોમાં વરસાદ થવાની શક્યતા ઓછી રહી શકે છે. આ સિસ્ટમ નબળી છે. આમાં સાર્વજનિક વરસાદ તો છે પરંતુ નબળો છે.