તુર્કી-સીરિયા બાદ હવે ફિલિપાઈન્સમાં આવ્યો ભૂકંપ, ભારતને કુદરતી આફતની આપી ચેતવણી

ફિલિપાઈન્સના મસ્બાતે ક્ષેત્રમાં ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ થયા છે. યુનાઈટેડ સ્ટેટ્‌સ જિયોલોજિકલ સર્વેના જણાવ્યાં મુજબ રિક્ટર સ્કેલ પર  ભૂકંપની તીવ્રતા ૬.૧ આંકવામાં આવી છે. હાલ જાનમાલના નુકસાનની કોઈ માહિતી સામે આવી નથી. કે સુનામીની ચેતવણી પણ ઈશ્યું કરાઈ નથી. અત્રે જણાવવાનું કે હાલમાં જ તુર્કી અને સીરિયામાં ભીષણ ભૂકંપના કારણે મોટાપાયે જાનમાલની હાનિ થઈ છે. મૃત્યુઆંક ૪૧૦૦૦ને પાર કરી ગયો છે. દક્ષિણ પૂર્વ તુર્કી અને ઉત્તર પશ્ચિમી સીરિયમાં ૭.૮ની તીવ્રતાના ભૂકંપ બાદ હજારો લોકોના મોત થયા. સેંકડો ઈમારતો જમીનદોસ્ત થઈ અને તેના કાટમાળમાં હજારો લોકો ફસાઈ ગયા. જેના કારણે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. હજુ પણ અનેક લોકોને કાટમાળમાંથી કાઢવામાં આવી રહ્યા છે. બુધવાર બપોર સુધીમાં મૃત્યુઆંક ૪૧૦૦૦ને પાર કરી ગયો હતો. આમ છતાં તુર્કી અને સીરિયામાં બચાવકાર્ય ચાલુ છે. જો કે મોટાભાગનો બચાવ કુદરતી આફત બાદ પહેલા ૨૪ કલાકમાં થતો હોય છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે લોકો તૂટી પડેલા મકાનોના કાટમાળ નીચે એક અઠવાડિયું કે તેનાથી વધુ સમય સુધી જીવિત તો રહી શકે છે પરંતુ તે અનેક બાબતો પર ર્નિભર હોય છે. જેમાં પાણી અને હવા, હવામાનની સ્થિતિ અને તેમની સીમા સુધી પહોંચ સામેલ છે.

ભૂકંપ  બાદ સીરિયા અને તુર્કીમાં લાખો લોકો અસ્થાયી શિબિરોમાં રહે છે અને તેમને માનવીય સહાયતાની પણ હજુ જરૂર છે. ભૂકંપ બાદ અનેક લોકોએ પોતાના ઘરો ગુમાવ્યા છે અને શિબિરોમાં રહે છે. તુર્કીમાં ભૂકંપનો પહેલો ઝટકો ૬ ફેબ્રુઆરી ૪.૧૭ વાગે આવ્યો જેની તીવ્રતા ૭.૮ ની હતી. હજુ તો લોકો કઈ સમજે તે પહેલા તો બીજો ઝટકો આવ્યો જેની તીવ્રતા પણ લગભગ એટલી જ હતી. ત્યારબાદ ફરીથી ૬.૪ની તીવ્રતાનો ઝટકો આવ્યો. ભૂકંપના ઝટકા પર ઝટકા આવતા ગયા અને તુર્કીને વધુ  તબાહ કરતા ગયા. ભૂકંપના આ આંચકાઓએ માલાટયા, સનલીઉર્ફા, ઓસ્માનિએ, દિયારબાકિર સહિત ૧૧ પ્રાંતોમાં ખુબ તબાહી મચાવી. તુર્કીના આ ભયાનક ભૂકંપની ભવિષ્યવાણી ડચ રિસર્ચર ફ્રેંક હોગરબીટ્‌સે પહેલેથી કરી નાખી હતી એવું કહેવાઈ રહ્યું છે. જે હવે સાચું પડ્યું. તેમણે એક વધુ ભવિષ્યવાણી કરી છે જે ભારત અને પાકિસ્તાન માટે  ચિંતાજનક છે. તેમણે કહ્યું કે હવે આફતની આગલી હરોળમાં એશિયાઈ દેશ છે. અત્રે જણાવવાનું કે ફ્રેંકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ એક ભૂકંપની એક મોટી ભવિષ્યવાણી કરતા જોવા મળી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ ફ્રેંક હોગરબીટ્‌સે કહ્યું કે તુર્કી જેવા ભૂકંપ કે કુદરતી આફતોનો સામનો કરવાનો વારો હવે એશિયન દેશોનો છે. ફ્રેંકે દાવો કર્યો કે આગામી ભૂકંપ અફઘાનિસ્તાનથી શરૂ થશે અને પાકિસ્તાન તથા ભારતમાં થઈને હિંદ મહાસાગરમાં ખતમ થશે. અત્રે જણાવવાનું કે મોહમ્મદ ઈબ્રાહિમ નામના એક ટિ્‌વટર યૂઝરે આ જાણકારી આપી કે ડચ રિસર્ચર ફ્રેંક હોગરબીટ્‌સે ૩ દિવસ પહેલા તુર્કી અને સીરિયામાં ભૂકંપની  ભવિષ્યવાણી કરી હતી અને તેમણે એકવાર ફરીથી ભવિષ્યવાણી કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ ફ્રેંકે કહ્યું કે જો આપણે વાયુમંડળીય ઉતાર ચઢાવને જોઈશું તો ખબર પડશે કે એશિયન દેશ ભૂકંપનો ભોગ બનશે. જો કે તેમણે એમ પણ કહ્યું કે ભૂકંપ હંમેશા પોતાની જાહેરાત કરીને આવતો નથી. આથી આ અનુમાન અસ્થાયી છે. તેમણે કહ્યું કે આપણે હંમેશા તમામ ભૂકંપોની માહિતી અગાઉથી મેળવી શકીએ નહીં. અત્રે જણાવવાનું કે ફ્રેંક હોગરબીટ્‌સ સોલર સિસ્ટમ જ્યોમેટ્રી સર્વે નામની સંસ્થામાં રિસર્ચર છે. તુર્કીમાં છાશવારે ભૂકંપ આવતા રહે છે. વર્ષ ૧૯૯૯માં આવેલા ભૂકંપમાં લગભગ ૧૮ હજાર લોકો માર્યા ગયા હતા અને ૪૫૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.

ગોલકુક અને ડ્યૂઝ પ્રાંતોમાં ૭.૪ અને ૭ની તીવ્રતાવાળા બે ભૂકંપ આવ્યા હતા. જ્યારે ૨૦૧૧માં ફરીથી પૂર્વી શહેર વૈનમાં ૭.૧ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો. જેમાં ૫૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. એકવાર ફરીથી હવે ભૂકંપે તુર્કીને હચમચાવી દીધુ અને ૨૨ હજારથી વધુ લોકો માર્યા ગયા છે. મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. રિપોર્ટ મુજબ ૩ તુર્કીમાં આવેલા ભૂકંપના ત્રણ દિવસ પહેલા નેધરલેન્ડ સ્થિત  સોલર સિસ્ટમ જ્યોમેટ્રી સર્વે માટે કામ કરતા ડચ રિસર્ચર ફ્રેંક હોગરબીટ્‌સે આ અંગે ભવિષ્યવાણી કરી હતી. ડચ વિશેષજ્ઞે પોતાની ટ્‌વીટમાં લખ્યું હતું કે જલદી કે બાદમાં આ વિસ્તાર (દક્ષિણ-મધ્ય તુર્કી, જોર્ડન, સીરિયા, લેબનોન)માં ૭.૫ની તીવ્રતાનો ભૂકંપ આવશે.