દેશમાં કોરોનાનો નવો સ્ટ્રેન વધારે સંક્રમણ ફેલાવી શકે છે

કોરોના વાયરસ મહામારી થોડા સમયથી એકદમ નિયંત્રણમાં આવી ગઈ હતી. પરંતુ અચાનક ફરી માથુ ઉચક્યું છે. તેમાં પણ કોરોના વાયરસના નવા સ્ટ્રેને તો મુશ્કેલીઓ વધારી દીધી છે. બ્રિટન, સાઉથ આફ્રિકા અને ગલ્ફ દેશો બાદ હવે ભારતમાં પણ કોરોનાના નવા સ્ટ્રેને પગ પેસારો કર્યો છે.

ભારતમાં વાયરસનો નવો સ્ટ્રેન ઘુસી ગયો હોવાનું સાબિત થયું છે. પીજીઆઇએમઇઆર ચંડીગઢના ડાયરેક્ટે એ વાતની આશંકા વ્યક્ત કરી છે કે, દેશમાં કોરોનાનો નવો સ્ટ્રેન વધારે સંક્રમણ ફેલાવી શકે છે.  

પીજીઆઇએમઇઆર ચંડીગઢના ડાયરેક્ટે જણાવ્યું હતું કે, ભારતમાં જણાઈ આવેલો કોરોના વાયરસનો નવો સ્ટ્રેન બ્રિટન કરતા પણ વધારે ઘાતક છે, આ નવો સ્ટ્રેન વધારે સંક્રામક હોઈ શકે છે. આ સ્થિતિમાં કોરોનાના નવા કેસને ફેલાતો રોકવા માટે શક્ય તેટલા તમામ પ્રયાસ કરવા જોઈએ. વર્તમાનમાં આપણી પાસે હોસ્પિટલ (ચંડીગઢ)માં કોરોનાના ૫૫ કેસ છે. છેલ્લા બે જ અઠવાડિયામાં આ કેસો વધ્યા છે.

જોકે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સહિત અન્ય કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસોમાં થયેલો વધારો કોરોનાના નવા વેરિએંટ એન૪૪૦કે અને ઇ૪૮૪ક્યુ સાથે કોઈ લેવા દેવા નથી. આઇસીએમઆરના જણાવ્યા પ્રમાણે આ નવા સ્ટ્રેન કોરોના કેસમાં થયેલા વધારાનું કારણ નથી.

નિતિ આયોગના સભ્ય વીકે પોલના જણાવ્યા પ્રમાણે દેશમાં સાર્સ-Cov2ના યૂકે સ્ટ્રેનથી અત્યાર સુધીમાં ૧૮૭ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના કોરોના સ્ટ્રેનથી ૬ લોકો સંક્રમિત બન્યા છે. તો બ્રાઝિલના નવા કોરોના સ્ટ્રેનથી એક જ વ્યક્તિ સંક્રમિત થયો છે. આ ઉપરાંત આ કેસની તપાસ કરવા અત્યાર સુધીમાં ૩૫૦૦ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.