ગાંધીનગરના ખોરજ ગામમાં મકાનમાં ભીષણ આગ લાગતાં ગ્રામજનોમાં અફરાતફરી મચી

ગાંધીનગરના જુના ખોરજ ગામના બ્રાહ્મણ વાસમાં આવેલા એક બંધ મકાનમાં રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. જેથી અત્રેના ગ્રામજનોના જીવ અદ્ધર થઈ ગઈ હતા. આ આગના પગલે રાત્રે ગાઢ નિંદ્રામાં સુતેલા ગ્રામજનોમાં ભય સાથે અફરાતફરી મચી ગઈ હતી. ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે સતત બે કલાક સુધી ઓપરેશન હાથ ધરી આગ પર કાબુ મેળવી રાહતનો દમ લીધો હતો. ગાંધીનગરના જુના ખોરજ ગામના બ્રાહ્મણ વાસમાં ગઈકાલે મધરાત્રે આગ લાગી હતી. બ્રાહ્મણ વાસમાં બંધ મકાનમાં અચાનક ભીષણ આગ લાગતાં આસપાસના વસાહતીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા.

શિયાળાની ઠંડીમાં અત્રેના વાસમાં રાત્રે વસાહતીઓ મીઠી નિંદર માણી રહ્યા હતા. એ દરમિયાન અત્રેનાં કમલેશભાઈ ત્રિવેદીના મકાનમાં અચાનક આગ લાગી હતી. થોડી વારમાં જ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં આસપાસના ઘરોના વસાહતીઓ ગાઢ નિંદ્રામાંથી સફાળા જાગીને પોતપોતાના ઘરની બહાર દોડી આવ્યાં હતા. ધીમે ધીમે આગ વધુ વિકરાળ બનવા લાગતા ગ્રામજનોમાં અફરાતફરી મચી હતી. આ બનાવની જાણ થતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડના સબ ફાયર ઓફિસર કે.જે. ગઢવી પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવવા માટેની કામગીરી શરૂ કરી દીધી હતી. ત્યારે સતત પાણીનો મારો ચલાવીને બંધ મકાનમાં લાગેલી આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આ સમગ્ર કામગીરી બે કલાક ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

જોકે, મકાનમાં લાગેલી વિકરાળ આગના કારણે ધુમાડા ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળી રહી રહ્યાં હતાં. જ્યારે આગ પર કાબુ મેળવી લીધા પછી સ્મોક દૂર કરવાની કવાયત શરૂ કરી દેવાઈ હતી. આ અંગે સબ ફાયર ઓફિસર કે જે ગઢવીએ જણાવ્યું હતું કે, કમલેશભાઈ ત્રિવેદીના બંધ મકાનમાં આગ લાગી હતી. સદનસીબે મકાન બંધ હોવાથી મોટી દુર્ઘટના સર્જાતા અટકી ગઈ છે. પ્રાથમિક રીતે બંધ મકાનમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું લાગી રહ્યું છે.

બ્રાહ્મણ વાસમાં નજીક નજીકમાં ઘરો હોવાથી મકાનની આગ પ્રસરે નહીં એ રીતે આયોજનપૂર્વક ફાયરની ટીમ દ્વારા કામગીરી કરીને આગ ઉપર અડધો એક કલાકમાં કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે, બંધ મકાનમાં આગના કારણે અંદર ધુમાડો જ ધુમાડો હોવાથી બે કલાક આ સુધી સતત કામગીરી કરવામાં આવી હતી. આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.