મોરબીના ગોરખીજડિયા નજીક પેપરમિલમાં ભીષણ આગથી મોટી દૂર્ઘટના સર્જાઈ

મોરબી શહેરના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં નાની મોટી આગજનીની ઘટના બનતી હોય છે. જો કે ફેબ્રુઆરી માર્ચમાં જ પેપરમિલમાં આગજનીની ઘટનામાં અચાનક વધારો ચિંતાની સાથે અનેક આશંકા ઉપજાવી રહ્યો છે. ફેકટરીમા આટલો જવલીનશીલ પદાર્થ હોવા છતાં શા માટે ફાયર પ્રિવેન્શન સીસ્ટમ નથી? સ્ટાફને તે અંગે તાલીમ નથી અપાતી? ફેકટરી આ રીતે આડેધડ ધમધમતી હોય તો પણ શા માટે જવાબદાર વિભાગ પગલાં ભરતું નથી.તે અંગે પણ સવાલ ઉઠ્‌યા છે.

૧૮ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ એમ ૩૦ દિવસ દરમિયાન ત્રણ પેપરમિલમાં આગજનીની ઘટના સામે આવી છે જેમાં પ્રથમ આગજનીની ઘટના ૧૮ ફેબ્રુઆરીના રોજ વાંકાનેરના રાતાવીરડા વિસ્તારમાં આવેલા ડિયાન પેપરમિલમાં ભીષણમાં આગ ફાટી નીકળી હતી. બાદ ગત ૧૭ માર્ચે ભરતનગર પાસે એરિકન પેપરમિલ બહાર કંપાઉન્ડમાં મોટી માત્રામાં રાખેલો વેસ્ટેજ કાચા રો મટિરિયલની ગાંસડીમાં આગ ભુભૂકી ઉઠી હતી. આ આગને હજુ એક સપ્તાહ નથી થયો ત્યાં ગોરખીજડિયા તરફ જવાના રસ્તે નેકસા પેપરમિલમાં મોટી આગજનીની ઘટના બની હતી. જેમાં કાચા માલની ગાંસડી પર અચાનક આગથી ગણતરીની મિનિટમાં આગે વિકરાળ રૂપ લઈ લેતા ફેકટરીમાંથી અડધી રાતે આગની ઉંચી જ્વાળા નીકળતી દેખાતી હતી.ઘટના વખતે ફેકટરીમાં હાજર લોકોએ પાણીનો મારો ચાલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો જોકે ત્યાં સુધીમાં આગ બેકાબુ બની ગઈ હોવાથી મોરબી ફાયર વિભાગને જાણ કરી હતી. જે બાદ મોરબી ફાયર વિભાગ દ્વારા પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો.

પેપરમિલમા આગની ઘટના સામે આવ્યા બાદ મોરબી ફાયર વિભાગની ૩ ગાડી આગ પર કાબૂ મેળવવા ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સવારે ૧૧ વાગ્યા. સુધી આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. આ માટે તેને ૨૫ જેટલા રાઉન્ડ લગાવી અંદાજીત ૨ લાખ લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઉદ્યોગ નગરીની જરૂરિયાતને ધ્યાને લઇ સરકાર સમક્ષ વર્ષોથી આધુનિક સાધનો સાથે ફાયર સ્ટેશન શરૂ કરવાની માગણી હોવા છતાં સરકાર હંમેશા આંખ આડા કાન કરી લે છે, પણ સાધનો મળતા નથી. સમયાંતરે વધતી ઘટના નિવારવા સરકાર પોતે આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવે, સાથે મોરબીના ઉદ્યોગકારોના એસોસિએશન સાથે મળી ફાયરના સાધનો વસાવે તે જરૂરી છે.મોરબીમાં સિરામિક, પેપરમિલ સહિતની હજારોની સંખ્યામાં ફેકટરી આવેલી છે. જેમાં નાની મોટી આગ અકસ્માતની ઘટના બનતી હોય છે. ગોરખીજડિયા નજીક પેપરમિલમા આગ લાગતા મોટી સંખ્યામાં કાચો માલ બળીને ખાખ થઇ ગયો હતો. આગ ક્યા કારણોસર લાગી તે કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

નોંધનીય છે કે છેલ્લા ૩૦ દિવસમાં મોરબી જિલ્લામાં ૩ પેપરમિલમાં આગ લાગ્યાના બનાવ સામે આવ્યા છે અને એવા સવાલ પણ થયા વિના ન રહે કે માર્ચ નજીક આવતાંની સાથે જ આગની ઘટનામાં વધારો શા માટે થતો હોય છે?