વિશ્વ જળ દિવસે સંયુક્ત રાષ્ટ્રએ પોતાની થીમમાં સામેલ કર્યું

દુનિયામાં પાણી ઘણુ છે પરંતુ આમ છતાં સંસાર જળ સંકટનો સામનો કરી રહ્યો છે. બહુ ઓછા લોકો એ સમજી શકે છે કે દુનિયામાં આટલા બધા પાણીમાં ગણતરીનું પાણી જ માણસોના ઉપયોગ અને પીવા યોગ્ય છે. આ પ્રકારના પાણીની માત્રા ઓછી હોવાની સાથે સાથે તે દરેક જગ્યાએ ઉપલબ્ધ પણ હોતું નથી. સંયુક્ત રાષ્ટ્રના Sustainable Development Goals માંથી એક છે વર્ષ ૨૦૩૦ સુધીમાં તમામને પાણી અને સ્વચ્છતા ઉપલબ્ધ થઈ શકે. સ્વચ્છ અને સુરક્ષિત પાણીમાં ભૂગર્ભ જળના મહત્વને જોતા સંયુક્ત રાષ્ટ્રએ આ વખતે ‘વિશ્વ જળ દિવસ’ પર તેને પોતાની થીમમાં સામેલ કર્યું છે.

પાણી જીવનની મુખ્ય જરૂરિયાતોમાંથી એક છે. તમામ છોડ, ઝાડ, પ્રાણીઓનું અસ્તિત્વ તેના વગર સંકટમાં આવી જશે. પરંતુ માનવીય જીવનમાં જે પ્રકારે વિકાસ, ઉદ્યોગ વગેરેના નામ પર કુદરતી સંસાધનોનું દોહન થઈ રહ્યું છે તે ‘પાણીની અછત’ જેવી સ્થિતિઓ પેદા કરવા માટે ઓછું જવાબદાર નથી.  દુનિયાભરમાં પાણી દરેક જગ્યાએ છે. પૃથ્વીની સપાટીનો બે તૃતિયાંશ હિસ્સો પાણીથી ઢંકાયેલો છે. પરંતુ દુનિયાનું એક ટકાથી પણ ઓછું પાણી સ્વચ્છ અને સુરક્ષિત જળની શ્રેણીમાં આવી શકે છે. જેના કારણે દુનિયા જળ સંકટનો સામનો કરી રહી છે. દુનિયામાં અનેક લોકો સુધી સ્વચ્છ પાણી પહોંચતું નથી. આથી ૨.૨ અબજથી વધુ લોકો પીવાના પાણી અને સારી રહેણીકરણી માટે સ્વચ્છ પાણીથી વંચિત છે.

લગભગ તમામ સ્વચ્છ પાણી ભૂગર્ભ જળનું હોવાના કારણે આજના સમયમાં તેનું મહત્વ લોકો સુધી પહોંચાડવા માટે આ વર્ષે સંયુક્ત રાષ્ટ્રએ ૨૨ માર્ચ ૨૦૨૨ માટે વિશ્વ જળ દિવસ પર ‘ગ્રાઉન્ડ વોટર-મેક ધ ઈનવિઝિબલ વિઝિબલ’ એટલે કે ‘ભૂગર્ભ જળ- ન જોઈ શકાતું હોય તેને જોઈ શકાય તેવું બનાવો’ નામની થીમની પસંદગી કરી છે.  પાણીની સ્વચ્છતા જ તેને માણસ અને અન્ય જીવો માટે ઉપયોગી બનાવે છે. ભૂગર્ભ જળ ભૂગર્ભ સંચરનાઓ જેમ કે પથ્થર, રેતી વગેરેમાં મળી આવે છે. જે સપાટી પ્રક્રિયાઓથી અછૂતું રહે છે. જેના કારણે તે શુદ્ધ જળ સ્ત્રોતોમાંથી એક ગણાય છે. એટલે સુધી કે વરસાદના પાણીની શુદ્ધતા પણ વાયુમંડળના તે ભાગની હવાની શુદ્ધતા પર ર્નિભર કરે છે જ્યાં વરસાદ થાય છે. એટલે જ કહેવાય છે કે પહેલા વરસાદનું પાણી તો સ્વચ્છ હોઈ જ ન શકે. પરંતુ ભૂગર્ભ જળ માટે એવું બંધન નથી.  ભૂગર્ભ જળ અને ઝરણા, નદીઓ, ઝીલ, આદ્રભૂમિ એટલે સુધી કે મહાસાગરો સુદ્ધા માટે પાણીનો સ્ત્રોત હોય છે.

ભૂગર્ભ જળનો જમાવડો વરસાદ અને બરફવર્ષા બાદ જમીનમાં પાણી ઉતરવાથી થાય છે. માણસ આ પાણીને પમ્પ અને કૂવાઓ દ્વારા બહાર કાઢે છે. આ પ્રકારે પાણીના સ્ત્રોતનો વધુ ઉપયોગ તેમના અસ્તિત્વ માટે જ જોખમ બની જાય છે. આવું ત્યારે બનતું હોય છે જ્યારે વરસાદ અને બરફવર્ષાથી જમીન રીચાર્જ થવાની ગતિથી વધુ ઝડપથી પાણી કાઢી લેવામાં આવે.  ભૂગર્ભ જળને પ્રદૂષણથી ખુબ જોખમ છે. જેથી પાણીની કમી સાથે જ તેના શુદ્ધિકરણનો ખર્ચો ઘણો વધી જાય છે. એટલે સુધી કે અનેકવાર તો આ પ્રદૂષિત પાણીનો ઉપયોગ શક્ય બની શકતો જ નથી. હાલ દુનિયામાં જળવાયુ પરિવર્તન અને અન્ય પર્યાવરણીય પડકારોના પગલે જીવનને બચાવવા માટે ભૂગર્ભ જળનો સંચય કરવો એ પ્રમુખ લક્ષ્યાંકોમાં સામેલ કરવો પડશે.  જળવાયુ પરિવર્તનથી બગડતી સ્થિતિના પગલે ભૂગર્ભ જળનો ઉપયોગ વધુ સંવેદનશીલ થવા લાગ્યો છે. પાણીનો ઉપયોગ માનવીય ગતિવિધિઓ માટે વધવા લાગ્યો છે.

કૃષિથી લઈને ઉદ્યોગોમાં પાણીની જરૂરિયાત વધી રહી છે. જેના કારણે ભૂગર્ભ જળનો પણ ઉપયોગ બેહિસાબ થવા લાગ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ એટલે જ આ વખતે ભૂગર્ભ જળના મેનેજમેન્ટ પર ભાર મૂકવાનો વિચાર કર્યો છે..