અગાઉ જ્યાં ગેસ ગળતર દુર્ઘટનામાં 4 લોકોના જીવ ગયા હતા તે સુરતની પાનસરા જીઆઇડીસીની બંધ કંપનીમાં ફરીથી ગેસ લીકેજ થતા દોડધામ

અડધા કલાકની જહેમત બાદ ફાયર વિભાગના અધિકારીઓએ ગેસ ગળતર પર અંકુશ મેળવ્યો

સુરતઃ સુરતની પાનસરા જીઆઇડીસીમાં મોટી દુર્ઘટના સર્જાતા ટળી છે. બંધ ખાનગી કંપની ગોડાઉનમાં ગેસ લીકેજની ઘટના બનતા દોડધામ સર્જાઇ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી. અને ગેસ ગળતર પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતો. લગભગ અડધા કલાકની જહેમત બાદ ફાયર વિભાગના અધિકારીઓએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓની મદદથી ગેસ ગળતર પર અંકુશ મેળવ્યો હતો. ફાયર વિભાગની સતર્કતાને પગલે ગેસ ગળતરની ઘટનામાં કોઇ જાનહાની કે ઇજાના અહેવાલ મળ્યા નથી.

ઘટનાને પગલે ઉપસ્થિત લોકોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. સ્ટોર કરેયાલા કેમિકલ પાઉડરના જથ્થા ઉપર પાણી પડતા ધુમાડો થતા ઉપસ્થિત લોકોના શ્વાસ ગૂંગળાવાની સ્થિતિ સર્જાઇ હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ આ જ કંપની ગોડાઉનમાં ગેસ લીકેજની દુર્ઘટનામાં ૪ લોકોના જીવ ગયા હતા. ત્યારે અહીં સવાલ એ સર્જાય કે કંપની બંધ હતી તો ગોડાઉનમાં શું પ્રવૃતિ ચાલી રહી હતી.