પાટણના વિજળકુવા વિસ્તારમાં મકાનના ઉપરના ભાગે આગ લાગતા અફરાતફરી મચી

પાટણ શહેરના વીજળકુવા વિસ્તારમાં આવેલા ગાંધી સુંદર લાલ કન્યા શાળાની નજીક લાકડાના બાંધકામ વાળા બંધ રહેતા બે માળના મકાનના ઉપરના માળે સવારે અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બાબતની જાણ પાલિકાના ફાયર ફાઈટરને કરાતા સ્ટાફના માણસોએ મીની ફાયર ફાઈટર અને પાણીના ટેન્કર સાથે ઘટનાસ્થળે પહોંચી જઈ એક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેતા વિસ્તારના લોકોએ હાંશકારો અનુભવ્યો હતો.

આ આગની ધટનાની મળતી હકીકત મુજબ પાટણ શહેરના વિજળકુવા વિસ્તારમાં સવારે ધાચી છનાલાલ મોહનલાલના બંધ રહેતા લાકડાના બાંધકામ વાળા બે માળના મકાનમાં પરિવારના સભ્ય દ્વારા દરરોજ સવારે ઘરના મંદિરમાં દીવો કરી પોત પોતાના કામે જતા હતા. તે મુજબ સવારે પરિવારના સભ્ય દ્વારા ધરના મંદિરમાં કરાયેલા દીવા બાદ ધર બંધ કરી પોતાનાં કામે નિકળી ગયા હતા. તે બાદ દીવાની સળગતી દીવેટ ઉંદર લઈ જતા ધરમાં આગ ભભુકી ઉઠતા ધુમાડાના ગોટેગોટા ધરમાંથી નિકળતા જોઈ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વિસ્તારના રહીશોનાં જીવ તાળવે ચોંટ્યા હતા. આગની ધટનાની જાણ પાલિકાના ફાયર વિભાગને કરાતાં ફાયર વિભાગનાં કર્મચારીઓ મીની ફાયર ફાઈટર અને પાણીના ટેન્કર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યાં પાણીનો મારો ચલાવી એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવતાં ઘર માલિક સહિત વિસ્તારના રહીશો એ હાંશકારો અનુભવ્યો હોવાનું પાલિકાના ફાયર અધીકારી અશ્વીનભાઈ પટેલે જણાવ્યું હતું. ઘરમાં લાગેલી આગના કારણે ઘરમાં રહેલી તમામ ઘરવખરી બળીને ભસ્મીભૂત થતાં મકાન માલિકને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન સર્જાતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.