ધોરાજીના ભંગાર બજારમાં આગ ફાટી નીકળતા અફડાતફડી સર્જાઇ

રાજકોટ જિલ્લાના ધોરાજીના બહારપુરામાં આવેલા ઉર્સનાં મેળાના મેદાન પાસે ભંગાર બજારમાં આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ ફેલાવાને કારણે આગને કાબૂમાં લેવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આગ કંઈ રીતે લાગી તેનું કારણ હજુ અકબંધ છે. વિકરાળ આગે આસપાસની દુકાનોને પણ ઝપેટમાં લઇ લીધી હતી.

ભંગાર બજારમાં પૂંઠા અને પ્લાયવૂડના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. બજારની આસપાસમાં આવેલી દુકાનો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. ચાર ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

ભંગાર બજારમાં ભીષણ આગના પગલે આસપાસમાં આવેલી દુકાનો ખાલી કરાવી દેવામાં આવી હતી. જોકે, આ આગના પગલે હાલ કોઈ જાનહાનિ ન થઇ હોવાનું જાણવા મળ્યું છે.

આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. ભંગાર બજારમાં પસ્તી, વાયર, પ્લાસ્ટિક અને ઓઇલ કેનનો મોટા જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આગ લાગતા જ તમામ વસ્તુમાં પ્રસરી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આગ પર કાબૂ મેળવાય તે પહેલા તમામ વસ્તુઓ બળીને ખાખ થઇ હતી. આગને લઇને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. ફાયર ફાઇટરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા.