રાજકોટની હોસ્પિટલમાં સ્પાર્ક થતા લાગી આગ, ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નહીં

હોસ્પીટલમાં આગની એવી ઘટના બની કે તેમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઇ નહિ , સદનશીબે બધાએ  અને હોસ્પીટલ તંત્રે પણ રાહતના શ્વાસ લીધા. રાજકોટ શહેરમાં આગજનીનો બનાવ સામે આવ્યો છે. શહેરના જાગનાથ પ્લોટમાં આવેલી મનન હોસ્પિટલમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં રિનોવેશનના કામ સમયે સ્પાર્ક થતા આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડનો સ્ટાફ બે ફાયર ફાઇટર સાથે દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા હોસ્પિટલ તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાપ્ત વિગત મુજબ જાગનાથ પ્લોટ વિસ્તારમાં આવેલી મનન હોસ્પિટલમાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલાની જાણ ફાયરબ્રિગેડને થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે તાત્કાલિક અસરથી દોડી ગયો હતો. હોસ્પિટલમાં રિનોવેશનનું કામ ચાલતું હતું ત્યારે સ્પાર્ક થતાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

હોસ્પિટલમાં જ્યારે આગ લાગી ત્યારે સદનસીબે કોઇ દર્દી હોસ્પિટલમાં હાજર ન હોવાનું સામે આવ્યું છે. જોકે આગ લાગતા જ હોસ્પિટલ સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ હતી. હોસ્પિટલમાં આગ લાગી ત્યારે ધૂમાડા બહાર નીકળી રહ્યા હતા. આથી રસ્તા પર જતા લોકો એકત્ર થઈ ગયા હતા. બાદમાં બે ફાયર ફાઈટર દોડી આવ્યા હતા. આ સમયે કોમ્પલેક્ષમાં આવેલી નીચેની દુકાનોમાંથી લોકો બહાર નીકળી ગયા હતા.