સુરેન્દ્રનગરમાં પેટ્રોલ પંપમાં અચાનક આગ લાગી

સુરેન્દ્રનગરમાં આગના બનાવોમાં દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે આવો જ એક બનાવ શહેરના ઓવરબ્રિજ પાસે આવેલા ઓમ સાંઇ પેટ્રોલ પંપ પર થયો હતો. જેમાં પંપમાં આગ લાગ્યા અંગે ફાયર વિભાગને જાણ કરાઇ હતી.આથી દેવાંગભાઇ દૂધરેજિયા, રાહુલ ડોડિયા, જયભાઇ રાવલ સહિત ટીમ ૨૨૦૦ લીટરની ક્ષમતા વાળા ફાયર ફાઇટર સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યાં આગ પર સતત પાણીનો મારો ચલાવી ૭ મિનિટ જેટલા સમયમાં આગ કાબુમાં લઇ લીધી હતી. આ આગ ફ્યુઅલ પંપ ટાંકી પાસે લાગી હોવાથી જો આગ પ્રસરે તો મોટો બનાવ બને તેમ હતો. પરંતુ ફાયર ટીમની સમય સૂચકતાથી મોટી ઘટના ટળી હતી. જ્યારે બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હતી. પરંતુ પંપ પર કામ કરતા લોકોને ઇજા થતા સારવાર માટે લઇ જવાયા હતા.

આ બનાવની તપાસ કરતા ઇલેકટ્રિક ઉપકરણમાં સ્પાર્કના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.સુરેન્દ્રનગરના ઓવરબ્રિજ પાસે આવેલા પેટ્રોલ પંપમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી.

આ ઘટનાની જાણ કરવામાં આવતા ફાયર વિભાગ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ પાણીનો સતત મારો ચલાવી આગ બુજાવી દીધી હતી. તપાસમાં આગ ઇલેક્ટ્રિક ઉપકરણમાં સ્પાર્કના કારણે લાગી હોવાનું ખૂલ્યું હતું.