હિમાચલમાં ભારે વરસાદના લીધે એક જ પરિવારના ૮ લોકોના મોત

હિમાચલમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. વરસાદના કારણે આવેલા પૂરમાં મંડી જિલ્લાના કાશન વિસ્તારમાં એક જ પરિવારના ૮ લોકોના દર્દનાક મોત થયા છે. પોલીસે તમામ મૃતદેહ કબજે કર્યા છે.  જણાવવામાં આવી રહ્યું છે કે જે ઘરમાં ૮ લોકોના મોત થયા, પોલીસે જ્યારે મૃતદેહ કાઢવા તે ઘરને તોડ્યું ત્યારે તેમની આંખો નમ થઈ ગઈ હતી. એક માતા બાળકોને છાતી સરખી ચાંપીને મૃત હાલતમાં બેડ પર પડેલી મળી હતી. આ મંજર જોઈ ત્યાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા.

જોકે, પોલીસે લોકોને ત્યાં જવાથી રોક્યા હતા. મંડીના ડીસી અરિંદમ ચૌધરીએ જણાવ્યું કે જિલ્લામાં ઘણી જગ્યાએ ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ઘણું નુકસાન થયું છે. તેમણે જણાવ્યું કે કાશન વિસ્તારમા જ્યારે પરિવાર પર કહેર તૂટ્યો તો ચારે તરફ લેન્ડસ્લાઈડ થવાના કારણે રેસ્ક્યૂ ટીમ સમય પર તેમના સુધી પહોંચી શકી ન હતી. ગ્રામજનોએ પણ પરિવારને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઈપણ તેમને બચાવી શક્યું નહીં. જોકે, હાલ તમામ મૃતદેહોને પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. મૃતકોમાં ગામના પ્રધાન ખેમ સિંહ અને તેમના નાના ભાઈનો પરિવાર સામેલ છે. મળતી જાણકારી અનુસાર, ભારે વરસાદના કારણે તેમનું ઘર ધરાશાયી થયું હતું. જેના કારણે ઘરમાં હાજર ૮ લોકો કાટમાળમાં દફન થઈ ગયા હતા. આ ઘટના શુક્રવારે રાત્રે ૨ વાગ્યાની ઝડોંન ગામની છે.

ઘરમાં તે સમયે પ્રધાન ખેમ સિંહ, પત્ની, બાળકો, તેમની ભાભી, ભાઈના બાળકો અને તેમના સસરા હાજર હતા. બેડ પર સૂતેલા બાળકો સહિત ૮ લોકોને કુદરતી કહેરે એવા દબાવી દીધા તે તેમને વિચારવાનો મોકો પણ મળ્યો નહીં હોય કે તેમની સાથે આ શું થયું. જણાવવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે પ્રધાન ખેમ સિંહના ભાઈ ઝોબે રામ સફરજનના કોન્ટ્રાક્ટ માટે કુલ્લુ ગયા હતા. જ્યારે તેમના માતા-પિતા બકરીઓને લઇને સિરાજ વિસ્તારમાં ગયા હતા. ઝડોંન ગામમાં બનેલી આ ઘટનાનો ભયાનક મંજર જોઈ સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. વહીવટી કર્મચારીઓ કાટમાળમાં દબાયેલા મૃતદેહ શોધવાનું કામ કરી રહ્યા હતા તો હજારો લોકોની આંખો રાહ જોઈ રહી હતી કે કાટમાળમાં દબાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવે. સવારે ૩ વાગ્યાથી ચાલુ કરેલું રેસ્ક્યૂ ઓપરેશન બપોરે ૧ વાગે પૂર્ણ થયા બાદ બેડ પર પડેલા મૃતદેહ એક પછી એક કાટમાળ વચ્ચેથી બહાર કાઢવામાં આવ્યા હતા.

સૌથી પહેલા પ્રધાન ખેમ સિંહના ભાઈની પત્ની અને બાળકોના મૃતદેહ મળ્યા. ત્યારબાદ પ્રધાન અને તેમની પત્નીનો મૃતદેહ મળ્યો. ત્યાર પછી પ્રધાનના બે પુત્ર અને અંતમાં પ્રધાનના સસરાનો મૃતદેહ કાટમાળમાં દબાયેલો મળ્યો હતો. ૮ લોકોના મોત બાદ પરિવાર સાથે સાથે ગ્રામજનોની રડી રડીને હાલત ખરાબ છે.