પોશીત્રા ગામમાં ૫૦ ઈંચ વરસાદ પડતા પાક નિષ્ફળ

છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદને લીધે ઘણું નુકશાન થયું છે ત્યારે દ્વારકા તાલુકાના પોશીત્રા ગામે ચાલુ સિઝનનો ૫૦ ઇંચ વરસાદ પડી જતાં ખેડૂતો પાયમાલીની પરિસ્થિતિમાં મૂકાયા છે. પોશીત્રાનાં ખેતરોમાં વરસાદી પાણીના ભરાવાથી ઉભા પાક નિષ્ફળ નિવડ્યા છે. ખાસ કરીને મગફળી જેવા પાક પાણીમાં સડી જતાં ખેડૂતોની પરિસ્થિતિ કપરી બની છે. દ્વારકા તાલુકાના પોશીત્રા અને તેના જેવા ડઝનબંધ ગામોના લોકો ૮૦ ટકા ખેતી ઉપર ર્નિભર છે. ત્યારે વરસાદના લીધે વધુ પડતી અતિવૃષ્ટિના હિસાબે બિયારણ ખેતરમાં નાખી દીધું અને ઉભો પાક પાણીમાં સડી જતા ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ કપરી બની છે.

આવા સંજોગોમાં પોશીત્રાનાં ખેડૂતો એકત્ર થઈને ગ્રામ પંચાયતના સરપંચને રજૂઆત કરી હતી કે આ પરિસ્થિતિમાં અમે અમારૂ ગુજરાન કેવી રીતે ચલાવી અને બાળ બચ્ચાને કેવી રીતે નિભાવીએ? ખેતીને લગતું આખું વર્ષ લગભગ નિષ્ફળ ગયું છે. ત્યારે સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરોનો સર્વે કર્યા પછી ખેડૂતોને સરકાર તરફથી સહાય મળે તે માટે ખેડૂતોએ રજૂઆત કરી હતી.