ચોમાસુ-૨૦૨૩ : રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૭૪.૨૪ ટકા જળસંગ્રહ

રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૭૪.૨૪ ટકા જળસંગ્રહ સરદાર સરોવર પરિયોજનામાં ૭૭.૪૭ ટકા જળસંગ્રહ

રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ, ૮૦.૬૯ ટકા નોંધાયો: કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૩૬.૦૬ ટકા

રાજ્યના ૯૫ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીની આવક

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૮૦.૬૯ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ સરેરાશ વરસાદ ૧૩૬.૦૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૦૯.૭૨ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૭.૨૫ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૭૧.૬૭ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૬૪.૯૮ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

રાજ્યની મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૭૪.૨૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૫૮,૭૯૭ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૭૭.૪૭ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૭૩.૨૫ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૯.૪૮ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૫.૦૬ ટકા, કચ્છ ઝોનના ૨૦ જળાશયોમાં ૬૫.૬૮ ટકા તથા સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૮૩.૮૬ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલા ૬૪ જળાશયો તથા ૯૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ થયેલા ૩૧ જળાશયો મળી કુલ ૯૫ જળાશયો હાઈ એલર્ટ પર છે. જ્યારે ૮૦ ટકાથી ૯૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૫ જળાશયો એલર્ટ પર અને ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૧૪ જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.