વરસાદ ખેંચાતા ખેડૂતો માટે ઉકાઈ ડેમમાંથી ૭૦૦૦ ક્યુસેક પાણી છોડાશે, બચી જશે ડાંગર- શેરડીનો પાક

સુરતઃ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની વ્હારે સરકાર આવી છે. ડાંગર અને શેરડીનો પાક બચાવવા ઉકાઈ ડેમમાંથી ૭ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. કાકરાપાર ડાબા જમણા કાંઠા નહેરમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે જેથી ખેડૂતોની ચિંતા ઘટશે. સિંચાઈનું પાણી છોડવાથી ડાંગર અને શેરડીનો પાક બચી જશે.

છેલ્લા ૧૦ વર્ષમાં પ્રથમવાર ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં વરસાદ પડ્યો નથી. ભરૂચ, સુરત, નવસારી, વલસાડના ખેડૂતોએ સિંચાઈના પાણી માટે રજૂઆત કરી હતી. બાદમાં રાજય સરકારે માગ સ્વીકારી છે. બીજી તરફ ખેડૂત આગેવાને ૮ના બદલે ૧૦ કલાક વીજળી આપવાના નિર્ણયને આવકાર્યો હતો અને કહ્યું, ૧.૨૦ લાખ એકરમાં ડાંગર અને ૧ લાખ એકરમાં શેરડીનો પાક બચી જશે. બારડોલી, ચલથાણ, મઢી, મહુવા, કામરેજ, સાયણ, પંડવઈ, ગણદેવી, વલસાડ સહિતના વિસ્તારોમાં ૧૫૦ હેકટરમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું છે.