અંકલેશ્વરમાં ખેડૂતો સાથે છેતરપિંડીના મોટા કાવતરાનો પર્દાફાશ, બનાવટી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ

અંકલેશ્વરઃ અંકલેશ્વરમાં ખેડૂતો સાથે છેતરપિંડીના મોટા કાવતરાનો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. બનાવટી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરીને ઝડપી પાડી કેમિકલ અને મશીનરી સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા પોલીસને મહાનિરીક્ષક સંદિપ સિંઘ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી જીલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા આ પ્રકારના ગુનાઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત અંકલેશ્વર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ઘણી બંધ કંપનીઓ અને ગોડાઉનમાં ગેરકાયદેસર ચીજવસ્તુનું ઉત્પાદન થતુ હોવાની બાતમી મેળવી કાયદેસર કાર્યવાહી કરવા જણાવવામાં આવતા પોલીસની ટુકડીઓ એલર્ટ બની છે.

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટને મળેલી બાતમીના આધારે PSI આર.કે. ટોરાણીની  ટીમ દ્વારા અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં પેટ્રોલીંગ શરૂ કરાયું હતું. ક્રાઇમ બ્રાન્ચને હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે “અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં દઢાલ ગામની સીમમાં આવેલ સુદામા એસ્ટેટમાં આવેલ પ્લોટ નં-એલ-૧૫માં આવેલ એસ્ટ્રો કેમ ફાર્મા બીલ્ડીંગમાં આવેલ ગોડાઉનમાં નયનભાઇ ધીરૂભાઇ ઉમરેઠીયા ગેરકાયદેસર રીતે અલગ-અલગ કંપનીઓનું રજીસ્ટ્રેશન કરાવડાવ્યા વગર પોતાની તથા બીજાની જીંદગી જોખમમાં મુકાય તે રીતે બેદરકારી ભર્યું આચરણ કરી જંતુનાશક દવા બનાવી, ઇલેક્ટ્રોનિક મશીન વડે પેકીંગ કરી, કંપનીના લેબલ મારી જાતે સીલ કરેલ છે અને તેના ગોડાઉનમાં હાલ કામ ચાલુ છે. બાતમીના આધારે ટીમના માણસો સાથે રેઇડ કરવામાં આવી હતી. દરોડામાં ગોડાઉનમાંથી અલગ- અલગ ઇલેક્ટ્રોનિક મશીન તથા અલગ-અલગ જંતુનાશક દવાઓના બોટલ તથા પ્લાસ્ટિકની થેલીમાં જંતુનાશક દવાઓ બનાવવાનું કેમિકલ તથા અલગ-અલગ કંપનીના સૂપલિકેટ સ્ટીકરો મળી આવ્યા હતા. પોલીસ ૮.૫૩ લાખના મુદ્દામાલ સાથે નયનભાઇ ધીરૂભાઇ ઉમરેઠીયા ઉ.વ.૨૭ રહે ૪૦૩ સ્વર્ણ રેસીડન્સ ગોલ્ડન પોઇન્ટ ચોકડી અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. તા-અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે મોટા વડાળા તા-કાલાવાડ જી-જામનગરનાને ઝડપી પાડી આઇપીસી કલમ ૪૧(૧)ડી મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે.મા સોંપવામા આવેલ છે.

ધરપકડ કરાયેલ નયનભાઇ ધીરૂભાઇ ઉમરેઠીયા બીઇ કેમીકલ એન્જીનીયર છે. કેમીકલ, પેસ્ટીસાઇઝ દવાઓથી માહીતગાર હોય જે પોતાની રીતે અલગ-અલગ પેસ્ટીસાઇઝ દવાઓ તથા પાવડરનું રો મીરીયલ અલગ-અલગ જગ્યાએથી ખરીદી કરી ઉપરોક્ત પકડાયેલ મશીનો વડે પોતાના અનુભવથી ખોટી એગ્રીકલ્ચર પ્રોડક્ટ બનાવી લિક્વિડ બોટલમાં ફીલીંગ કરી તથા પાવડર પાઉચમાં પેકીંગ કરી અલગ-અલગ કંપનીઓના સ્ટીકરો લગાવી જેની પર અલગ-અલગ ખોટા બેચ નંબર તથા તારીખ તથા પ્રિન્ટ કીમત છાપી બજારમાં ખેડુતોને તથા એજન્સીઓમાં વેચાણ કરતો હતો. ગુનાનો ભેદ ઉકેલવામાં પો.સ.ઇ. આર.કે. ટોરાણી સાથે અ.હે.કો. પરેશભાઇ, ધનજયસિંહ , મેહુલભાઇ,  મનહરસિંહએ ટીમવર્કથી કામગીરી કરી હતી.

પોલીસ આગામી દિવસોમાં આજંતુનાશક દવાના ખરીદાર વિક્રેતાઓ સુધી પહોંચી શકે છે. સૂત્રો અનુસાર પોલીસ હાલમાં CRPC ઝ્રઇઁઝ્ર ૪૧(૧)(ડી)હેઠળ કાર્યવાહી કરી છે. આ હેઠળ સીલ કરાયેલ સમાનની વિગતો અને આધાર માંગવામાં આવે છે જે આપી ન શકનાર સામે IPC હેઠળ ગુણ દાખલ કરવામાં આવતા હોય છે. આ મામલામાં પોલીસની કાર્યવાહી ક્યાં સુધી આગળ ધપે છે અને ખરીદાર અને ખેડૂતોને કેમિકલ વેચનાર વિક્રેતાઓ સુધી પોલીસ પહોંચે છે કે કેમ? તે જોવું રહ્યું.