સંત સરોવરના ૨૧ દરવાજા ખોલી પાણી છોડતા નદી કિનારાના ગામડાઓને એલર્ટ અપાયું

ઉત્તર ગુજરાતમાં અને મુખ્યત્વે સાબરમતી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી ગાંધીનગરમાં પાણીનો આવરો વધવાની સંભાવનાને પગલે સંત સરોવર અને હેઠવાસના વિસ્તારોમાં ૧૦ ગામના લોકોને સાવચેતીના પગલાં તરીકે નદી કિનારે નહીં જવાની સૂચના ગાંધીનગર મામલતદાર તરફથી આપવામાં આવી છે. ધરોઈ બંધમાંથી ૫૭ હજાર ક્યુસેક્સ જેટલું પાણી છોડવામાં આવ્યું હતું. જેનાં કારણે પાણીની આવક વધતા લાકરોડા બેરેજમાંથી ૮૨૬૫ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ઉપરવાસમાં ભારે વરસાદ થયો હોવાથી ધરોઈ બંધમાંથી ૫૭ હજાર ક્યુસેક પાણી છોડવાના પરિણામે ગાંધીનગરનાં સંત સરોવરમાં પાણીની આવક વધી ગઈ છે. સંત સરોવરનું ફૂલ રિઝર્વૉયર લેવલ ૫૫.૫૦ મીટર છે. ત્યારે પાણીની આવક વધતા પાણીની સપાટી ૫૪.૩૦ મીટર જાળવવામાં આવી હતી. સરોવરના ૨૧ દરવાજામાંથી છ દરવાજા બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા અને ૧૩ હજાર ૪૨૨ ક્યુસેક પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવ્યું હતું. તો ઉપરવાસથી પાણીની આવકમાં વધારો થતાં રાત્રે પણ ૩૧ હજાર ૮૨૯ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

મધરાત પછી લાકરોડા બેરેજમાંથી વઘુ પાણી છોડવામાં આવે તેવી સંભાવના હોવાથી ગઈકાલે જ ગાંધીનગર મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરફથી સંત સરોવર અને હેઠવાસના ૧૦ ગામો ઇન્દ્રોડા, શાહપુર, ધોળાકુવા, રાંદેસણ, રાયસણ, રતનપુર, વલાદ, જુના કોબા, કરાઈ અને નભોઈના નાગરિકો તથા તાલુકાના તમામ નાગરિકોને સંત સરોવર અને નદી કિનારે નહીં જવાની સૂચના આપી દેવાઈ હતી. બીજી તરફધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી પાણી છોડાતાં ગાંધીનગરમાં સાબરમતી નદી સંત સરોવર પાસે સવારે પાણીની આવક ચાલુ રહી હતી. લાકરોડા બેરેજમાંથી ૬૬ હજાર ૨૧૫ ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેનાં પગલે સંત સંત સરોવરના તમામ ૨૧ દરવાજા ખોલીને ૧૯ હજાર ૩૫૨ ક્યુસેક્સ પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવી આવી આવ્યું છે.

સવારે ધરોઈ ડેમમાંથી ૩૫ હજાર ૬૩૨ ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે લાકરોડા બેરેજમાંથી ૬૬ હજાર ૨૧૫ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે.ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી પાણી છોડાતાં ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે થઈ છે. ગાંધીનગરના સંત સરોવર પાસે રાત્રે ૩૧ હજાર ૮૨૯ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારે ધરોઈ ડેમમાંથી વિપુલ માત્રામાં પાણીનો જથ્થો છોડવામાં આવતાં સવારે સંત સરોવરના તમામ ૨૧ દરવાજા ખોલીને ૧૯ હજાર ૩૫૨ ક્યુસેક પાણી વાસણા બેરેજમાં છોડવામાં આવ્યું હતું.