આજથી ૨ દિવસ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે, પીએમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી આવૃત્તિનું ઉદ્‌ઘાટન કરશે

અમદાવાદઃ વાઈબ્રન્ટ ગુજરાતથી ગુજરાતમાં અનોખો નજારો જોવા મળશે. વિશ્વની નામાંકિત હસ્તીઓ આ ઈવેન્ટમાં મહેમાનો બનવાની છે. તેથી વિશ્વભરના મીડિયાની નજર હાલ ગુજરાત પર છે. પીએમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી આવૃત્તિનું ઉદ્‌ઘાટન કરશે. પીએમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું પણ ઉદ્‌ઘાટન કરશે. તેઓ ટોચની વૈશ્વિક કોર્પોરેશનોના સીઈઓ સાથે બેઠક કરશે. તેમજ પ્રધાનમંત્રી ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમમાં અગ્રણી બિઝનેસ લીડર્સ સાથે વાર્તાલાપ કરશે. આ માટે આજથી ૨ દિવસ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે ગ્લોબલ ટ્રેડ શોનું તો ૧૦ જાન્યુઆરીએ વાઈબ્રન્ટનું ઉદઘાટન કરશે. ત્યારે વાઈબ્રન્ટ ગુજરાતમાં યુએઈના પ્રેસિડેન્ટ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રોટોકોલ તોડશે.

આ વર્ષની સમિટની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએઈની પ્રમુખ પણ હાજરી આપશે. પ્રધાનમંત્રી આજે મોડી સાંજે અમદાવાદ આવી પહોંચશે. તો યુએઈના પ્રમુખનું આજે એરપોર્ટ પર આગમન થશે. જોકે, પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રોટોકોલ તોડી પ્રધાનમંત્રી મોદી તેઓને આવકારવા એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી ૯ તારીખે પ્રોટોકોલ તોડીને યુએઇના પ્રેસિડેન્ટને એરપોર્ટ પર રિસીવ કરવા પહોંચશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને યુએઈ સશસ્ત્ર દળોના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર જનરલ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને આવકારવા પ્રોટોકોલ તોડ્યા હતા, અને તેમને રિસીવ કરવા ખુદ પહોચ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, યુએઈના પ્રેસિડેન્ટ સાથે એરપોર્ટથી ગાંધીનગર સુધીનો રોડ શો કરશે. બંને મહાનુભાવના રોડ શોના રૂટમાં ફેરફાર કરાયો છે. સુરક્ષા કારણોસર એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીનો રોડ શો રદ્દ કરાયો છે. હવે એરપોર્ટથી ગાંધીનગર સુધીના રૂટ પર રોડ શો યોજાશે. તંત્ર દ્વારા યુદ્ધનાં ધોરણે રોડ શોના નવા રૂટ પર તૈયારીઓ કરાઈ રહી છે. રોડની બાજુમાં લોખંડી બેરિકેડ ઉભા કરાયા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. રોડ શો દરમ્યાન મહાનુભાવોના સ્વાગત માટે કલાકારો પરફોર્મન્સ આપશે. કલાકારો માટે થોડા થોડા અંતરે સ્ટેજ ઉભા કરાયા છે.

પીએમ મોદી વાયબ્રન્ટ સમિટને લઈ ગુજરાત પ્રવાસે આવશે. ત્યારે પીએમ મોદી મંગળવારે સવારે મહાત્મા મંદિર ખાતે વૈશ્વિક નેતાઓ સાથે બેઠક કરશે. વૈશ્વિક નેતાઓ સાથે પીએમ મોદી દ્વિપક્ષિય બેઠકો કરશે. તેમજ ટોચના સીઈઓ સાથે પણ બેક ટુ બેક બેઠકો યોજાશે. મંગળવારે સાંજે ૩ વાગે આંતરરાષ્ટ્રીય ટ્રેડ શોનું પીએમ મોદી ઉદ્‌ઘાટન કરશે. પીએમ મોદી મહાનુભાવો સાથે રાત્રિ ભોજમાં પણ સામેલ થઈ શકે છે. બુધવારે સવારે ૧૦ વાગે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની પીએમ મોદી શરૂઆત કરાવશે. ઈનોગ્રલ સેશન બાદ પીએમ મોદી ટોચના સીઈઓ સાથે બેઠકો કરશે. બુધવારે સાંજે ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફીનટેક લીડરશીપ ફોરમમાં પીએમ મોદી હાજરી આપશે.

વાઈબ્રન્ટ સમિટને લઇ એરપોર્ટ ઓથોરિટીએ એડવાઇઝરી જાહેર કરી છે. એરપોર્ટ ઉપર વીઆઇપી મુવમેન્ટને લઈ આ એડવાઈઝરી જાહેર કરાઈ છે. જે મુજબ, એરપોર્ટ ઉપર ટ્રાફિક કંટ્રોલ કરવા મુસાફરોને ફ્લાઇટ ટાઈમથી વહેલા એરપોર્ટ ઉપર પહોંચવા સૂચના અપાઈ છે.