અપૂરતી ફાયર સુવિધા હોવાથી સુરતમાં ૧૮ હોસ્પિટલોને સિલ કરાઇ

સુરતમાં ભૂતકાળમાં હોસ્પીટલમાં આગ લાગવાની ઘટનાઓ બની ચુકી છે. આ ઉપરાંત થોડા દિવસો પહેલા પણ લાલ દરવાજા ખાતે આવેલી હોસ્પીટલમાં આગની ઘટના બની હતી. આ ઘટનાઓ બાદ સુરતમાં ફાયર વિભાગ એકશન મોડમાં જોવા મળી રહ્યું છે. થોડા દિવસો અગાઉ ફાયર વિભાગે વિવિધ હોસ્પીટલમાં તપાસ શરુ કરી હતી અને ખામી સામે આવતા નોટીસ ફટકારવામાં આવી હતી.

ત્યારે ફરી એક વખત સુરતમાં ફાયર વિભાગે હોસ્પિટલ અને કોમર્શીયલ કોમ્પ્લેક્સમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં ફાયર સેફ્ટીના સાધનો ન ઉભા કરનારી અલગ અલગ વિસ્તારની ૧૮ હોસ્પિટલોને સિલ કરવામાં આવી હતી. આ સાથે જ રાંદેરના શ્રીનાથ કોમ્પ્લેક્ષની ૭૮ દુકાનો અને કતારગામના માનસરોવર કોમ્પ્લેક્ષની ૨૨ દુકાનો પણ ફાયર સેફટીના અભાવે સિલ કરવામાં આવી હતી. ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ અલગ અલગ ટીમ બનાવી આ સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી.

આ ઉપરાંત અત્યારસુધી સુરત ફાયરે ૩૫થી વધુ હોસ્પિટલમાં મોકડ્રિલ યોજીને હોસ્પિટલના સ્ટાફને તૈયાર પણ કર્યા છે. ભૂતકાળમાં ફાયર વિભાગ દ્વારા અનેક વખત ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પરંતુ છતાં પણ ઘણી હોસ્પિટલમાં ફાયર સુવિધા ન હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે જે ખૂબ ગંભીર બાબત છે.