રાજકોટના ૧૦૦ વિસ્તારોમાં પાણીકાપ

રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે આવેલ ભાદર યોજનાની ૯૦૦ એમ. એમ.ની મેઇન લાઇનની લીકેજની કામગીરી હોવાથી ગત સોમવારે ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા બંધ રખાઇ હતી. જેમાં શહેરના ઢેબર રોડ વિસ્તારમાં આવતા વોર્ડ નં.૭, ૧૪ અને ૧૭માં પાણીકાપ ઝીંકાયો હતો.રાજકોટમાં ગત ચોમાસામાં સારા વરસાદને કારણે શહેરના તમામ જળાશયો છલોછલ થઇ ગયા હતા. પરંતુ ટેકનિકલ ખામીને કારણે શહેરીજનોને અવારનવાર પાણીકાપનો સામનો કરવો પડી રહ્યો છે.

જેટકોનું શટડાઉન હોવાને કારણે શહેરના રેલનગર, લક્ષ્મીનગર, સોરઠિયાવાડી, ગુંદાવાડી સહિત ૧૦૦ જેટલા વિસ્તોરામાં પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. છતે પાણીએ લોકોને પાણીની પળોજણ વેઠવાનો વારો આવ્યો છે. જેટકોનું શટડાઉન હોવાને કારણે શહેરના વોર્ડ નં. ૩, ૭, ૮, ૧૧, ૧૩ અને ૧૪માં પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. જેમાં રેલનગર, લક્ષ્મીનગર, સોરઠીયાવાડી, ગુંદાવાડી, મવડી પ્લોટ, કરણપરા, ચંદ્રેશનગર સહિતના ૧૦૦ જેટલા વિસ્તારોનો સમાવેશ થાય છે. ડેમોમાં પાણી છે પણ ટેકનિકલ કારણોને લીધે આ વિસ્તારોમાં પાણીકાપ રાખવામાં આવ્યો છે.