સાદરા ખાતે લેન્ડફીલ મુદ્દે ભારત સંકલ્પ યાત્રા રોકી ચુંટણીનો બહિષ્કાર કરવાની ગ્રામજનોની ચીમકી

ગાંધીનગરઃ ગાંધીનગરમાં અનેક જગ્યા નક્કી થયા બાદ પણ સ્થાનિકોના વિરોધના પગલે લેન્ડફીલ સાઇટ નક્કી નહીં કરી શકેલી મહાનગરપાલિકા હવે સાદરા ખાતે લેન્ડફીલ સાઇટ બનાવવા માટે મક્કમ રીતે આગળ વધી રહી છે. જેનાં વિરોધમાં ગઈકાલે યોજાયેલી રાત્રિ સભામાં આંદોલનની રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી. જે અન્વયે આજે વેપાર ધંધા બંધ રાખી આવતીકાલે સોમવારે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે. તેમ છતાં કોઈ નિવેડો નહીં આવે તો ભારત સંકલ્પ યાત્રા રોકી ચુંટણીનો બહિષ્કાર કરવાનો ગ્રામજનોએ હુંકાર કર્યો છે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્પોરેશનનાં નિર્ણય સામે સાદરાનાં ગ્રામજનોએ લડતનાં મંડાણ કરી દીધા છે. કોર્પોરેશન દ્વારા ઘન કચરાના નિકાલ અર્થે ઘણા વખતથી લેન્ડફીલ સાઈટ શોધવામાં આવી રહી હતી. અગાઉ પેથાપુરમાં લેન્ડફીલ સાઈટ બનાવવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. જો કે સ્થાનિક રાજકીય આગેવાનો સહીતના ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કરતાં મડાગાંઠ સર્જાઈ હતી. એજ રીતે કોલવડામાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ નજર દોડાવી હતી. જો કે અહીં પણ રાજકીય દબાણ – ગ્રામજનોએ વિરોધ કરતાં મનપા તંત્રને રાજકીય દબાણ સામે હથિયાર હેઠા મૂકી દેવાનું મુનાસિબ માની ઉક્ત બંને સ્થળોએ લેન્ડ ફીલ સાઈટનો પ્રોજેક્ટ પડતો મૂકી દેવો પડ્યો હતો. ત્યારે સ્વચ્છતા અભિયાનમાં રેન્ક મેળવાની હરીફાઈમાં મનપા તંત્રએ લેન્ડ ફીલ સાઈટ બનાવવા માટે પોતાની હદ વિસ્તારમાં સર્વે ચાલુ રાખવામાં આવ્યો હતો. અંતે સાદરા ગામ ખાતે લેન્ડફીલ બનાવવા માટે નિર્ણય લઈ લીધો હતો. જે સંદર્ભે કલેકટર દ્વારા પણ અહીં ૫૦ એકર જમીન ફાળવી દેવામાં આવી છે. જેનાં પગલે ગ્રામજનોએ મનપા કમિશ્નર, કલેકટર તેમજ મેયરને આવેદન આપીને લેન્ડફીલ સાઈટનો વિરોધ કરી રજૂઆત કરાઈ હતી. તેમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા લેન્ડ ફીલ બનાવવા માટેની કવાયત શરૂ કરી દેવાઈ છે. જેનાં પગલે સાદરાનાં ગ્રામજનોએ લડતનાં મંડાણ કરી દીધા છે.

ગામમાં લેન્ડ ફીલ સાઈટનાં વિરોધને લઈને રાત્રિ સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી. આ સભામાં ગ્રામજનોએ સામૂહિક રીતે એક થઈને આંદોલન કરવાનું નક્કી કરી રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી. જે અન્વયે આજે બપોર સુધી વેપાર ધંધા બંધ રાખવામાં આવ્યા છે. આજે મોટી ગ્રામજનો મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં માટે પણ જવાના છે. તેમ છતાં લેન્ડ ફીલ સાઈટ અંગે કોઈ નિવેડો નહીં આવે તો આંદોલનને ઉગ્ર બનાવી ભારત સંકલ્પ યાત્રાને પણ રોકી દેવાનો ગ્રામજનોએ હુંકાર કર્યો છે. ઉપરાંત આગામી લોકસભાની ચુંટણીનો પણ સામૂહિક બહિષ્કાર કરવાનો ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.

આ અંગે ગામના સરપંચ મહેશભાઈ નારણભાઈ રાવલ સહિતના ગ્રામજનોએ કહ્યું હતું કે, અહીં લેન્ડ ફીલ સાઈટ બનાવવાના નિર્ણયનો સમસ્ત ગ્રામજનોનો વિરોધ છે. રજૂઆતો કરવા છતાં કોર્પોરેશન લેન્ડ ફીલ બનાવવા માટે તજવીજ હાથ હાથ ધરી રહ્યું છે. આવતીકાલે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરીશું તેમ છતાં લેન્ડ ફીલ સાઈટ મુદ્દે કોઈ નિરાકરણ નહીં આવે તો ભારત સંકલ્પ યાત્રાનો રથ પણ રોકવામાં આવશે. તેમજ આગામી લોકસભા ચુંટણીનો સમસ્ત ગ્રામજનો બહિષ્કાર કરશે.